કોરોના સંકટમાં લગ્ન પ્રસંગો ઉજવણીમાં આવ્યો નવો વળાંક અનેક પરિવારોએ માનવસેવા અને જીવદયા કાર્યો કર્યા

છેલ્લા સવા વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં અનેક લગ્નો મુલત્વી રહ્યા, તો અનેક પરિવારોએ માનવસેવા, જીવદયાનાં કાર્યો કરી લગ્નની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું છે.

આદિપુરનાં મહેશભાઇ ખીમજી ચત્રભોજ લાલકાએ પોતાની પુત્રી ચિ. નિરાલીનાં લગ્ન પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી તેમજ કોઠારા પાંજરાપોળમાં ગાય માતાઓને મીઠી લાપસી ખવડાવી માનવસેવા અને જીવદયાનાં કાર્યો સાથે સરકારી ગાઇડ લાઇનને અનુસરી લગ્ન પ્રસંગ મનાવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું.

કેરાનાં ચીમનગર શંકરગર ગોસ્વામીએ ચિ. અંકિતગર અને ચિ. શ્રૃતિનાં લગ્ન પ્રસંગે માનવજ્યોત આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ૩ ટાઇમ ભોજન કરાવ્યું હતું અને રસ-પૂરીનું જમણ જમાડયું  હતું.

માનકુવાનાં લખમણભાઇ શામજી શિયાણીએ ચિ. હિરેનનાં લગ્ન પ્રસંગે માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો, એકલા-અટુલા, નિરાધાર વૃદ્ધો તથા બાળશ્રમયોગીઓ, રંક બાળકો તથા શ્રમજીવીક પરિવારોને પાઉંભાજીનું ભોજન કરાવ્યું હતું. આમ અનેક પરિવારો ભૂખ્યાને ભોજન કરાવી રહ્યા છે.

કોરોના સંકટમાં ખોટા ખર્ચાથી દૂર રહી, સરકારશ્રીની ગાઇડલાઇનને અનુસરી અનેક પરિવારો સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.