હરતા-ફરતા છાશ કેન્દ્ર દ્વારા દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા એક સગૃહસ્થ દાતાશ્રી પરિવારનાં સહયોગથી હરતા-ફરતા છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો.

જેષ્ઠાનગર વિસ્તારમાં યોજાએલા કાર્યક્રમમાં સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ છાશ પીવડાવવામાં આવશે. દરરોજ ૩૦૦ લીટર છાશહરતા-ફરતા વાહનથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પહોચશે. જેથી જરૂરતમંદોની આંતરડી ઠરશે. પ્રથમ મહિને જય જલારામ બાપાનાં નામે એક સગૃહસ્થ, બીજા મહિને જયશ્રીકૃષ્ણનાં નામે એક સગૃહસ્થ તેમજ ત્રીજા મહિને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી આ છાશ કેન્દ્ર ચાલશે.

સુરેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, મુરજીભાઇ ઠક્કર, રાજુ જોગી, મિલન બારોટ સહિનાં સંસ્થાનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા સખી સાહેલી સ્વસહાય જુથના અનીતાબેન ઠાકુર તથા જુથના કાર્યકરોએ સંભાળી હતી. આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ.