શ્રી જયેશ જૈન ને જૈન સમાજનો પ્રતિષ્ઠિત “દર્શન સાગર એવોર્ડ -૨૦૧૮” અર્પણ કરાયો

સમાજ અને શાસનનાં સર્વ શ્રેષ્ઠ કાર્યો, તથા દેશભરમાં શિક્ષણ, આરોગ્ય, જીવદયા અને સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરવા બદલ શ્રી જયેશ ભાગચંદ જૈન કોઠારા હાલે મુલુન્ડને જૈન સમાજનો પ્રતિષ્ઠિત “દર્શન સાગર એવોર્ડ-૨૦૧૮” અર્પણ કરવામાં આવ્યો હતો.

નાકોડા દર્શન ધામ (વસઇ પાલઘર) મધ્યે રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્ય શ્રી ચન્દ્રાનનસાગર સૂરીશ્વરજી મ.સા. ની શુભ પાવન નિશ્રામાં યોજાયેલ સમારોહમાં આ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ સમારોહમાં દેશના ઉદ્યોગ-વેપાર જગતના પ્રતિષ્ઠિત અગ્રગણ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના લાભાર્થી દાતા શ્રીમતિ રેખાબેન કાન્તીલાલજી શાહ અંસા જવેલર્સ- તખતગઢ (મુંબઇ) રહ્યા હતા. એવોર્ડ કમિટિના પ્રવિણ શાહ, નિરંજન પરીહાર અને મોતીશિમલાની ઉપસ્થિત રહ્યા હતા.

સમાજ સેવા ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્યો કરવા બદલ અપાતો આ એવોર્ડ પ્રતિષ્ઠિત એવોર્ડ છે. સાગર સમુદાયનાં ગચ્છાધિપતિ રહેનાર આચાર્ય દર્શન સાગર સૂરીશ્વરજી મ.સા. ની પુણ્યતિથિ દિને છેલ્લા ૧૩ વર્ષથી દર વર્ષે રાષ્ટ્રીય લેવલે આ એવોર્ડ અર્પણ કરાય છે.

સમારોહનું ક્ષમાપન રાષ્ટ્રસંત આચાર્ય ચન્દ્રાનનસાગર સૂરીશ્વરજી મ.સા. નાં માંગલિક પ્રવચન સાથે થયું હતું.

શ્રી જયેશ જૈન છેલ્લા ૨૮ વર્ષથી સમાજ અને શાસનનાં કાર્યો કરતા આવ્યા છે. શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ-મુંબઇ અને ભારતીબેન ભાગચંદ જૈન ચેરીટેબલ ટ્રસ્ટનાં માધ્યમથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દર વર્ષે ડીસેમ્બર માસમાં કચ્છમાં સમાજના સમુહલગ્નોત્સવનું કાર્ય ૨૬ વર્ષથી કરતા આવ્યા છે. શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે અનેકવિધ કાર્યો કર્યા છે. ધાર્મિક શિબિરો, સામુહિક અનુષ્ઠાનો, યાત્રા દર્શન કાર્યક્રમોનું આયોજનો કરતા રહ્યા છે. જેની નોંધ લઇ આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરાયો હતો.

નાકોડા ધામ મધ્યે સમારોહને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રી કાન્તીલાલજી શાહ, દીનેશભાઇ જૈન , લલીત જગાવત, મનીષ કોઠારી, રાજુ દર્શને જહેમત ઉઠાવી હતી.