ગુમ ભાઇ 12 વર્ષે મળી આવતાંબહેને તેનાં કાંડે બાંધી રક્ષા

છત્તીશગઢનાં જાંજગીર ચાંપા વિસ્તારનો યુવાન રોહીત કેવટ ઉ.વ. 18 અચાનક માનસિક સમતુલા ગુમાવતાં તેણે ઘર અને પરિવાર છોડ્યા હતા. અને તે સતત રખડતો-ભટકતો રહ્યો હતો. અનેક રાજ્યોમાંથી થઇ છેલ્લે સોમનાથનાં નિરાધારનો આધાર સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકો જનકભાઇ અને ધ્રુવભાઇ સોલંકીએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી હતી. અહીં તે થોડાક દિવસનો મહેમાન બન્યો.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયેર પ્રબોધ મુનવરના માર્ગદર્શન માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાન રોહીતને સાથે ભુજ લઇ આવી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળે રાખી તેની માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજમાં સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. અહીં પણ તે 1 મહિનાંનો મહેમાન બન્યો હતો.

છત્તીશગઢ પોલીસની મદદથી તેનું ઘર-પરિવાર શોધી કઢાતાં તેનાં પિતા-ભાઇ-બનેવી તેને તેડવા છત્તીશગઢ થી મોટર કારથી ભુજ પહોંચ્યા હતા. પોતાનાં વહાલસોયા પરિવારજની નો કબ્જો સ્વીકારી ખુશી વ્યક્ત કરી હતી. તેનાં પિતાનાં જણાવ્યા મુજબ બાર વર્ષ થી તેની સતત શોધ ચલાવીએ છીએ. ઘરે માતા તથા તેની બહેન તેનાં ઘરે આવવાની રાહ જોઇ બેઠા છે. પિતા-પુત્ર અને ભાઇ-ભાઇનું 12 વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખોમાં અશ્રુનાં પુર વહ્યાં હતાં. રક્ષાબંધન પર્વનાં આગલા દિવસે રોહિત ઘરે પહોંચતાં બહેન 12 વર્ષ પછી ભાઇનાં કાંડે રક્ષાબાંધશે. આમ પરિવારની 12-12 વર્ષની મુશ્કેલી નો અંત આવ્યો હતો.

રોહીત કેવટ ઘરેથી નિકળ્યો ત્યારે ઉ.વ. 18 વર્ષનો હતો. આજે તે 30 વર્ષનો થઇ ચુકયો છે. માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, પંકજ કુરવા, દિલીપ લોડાયાએ સહભાગી બન્યા હતા.