સમગ્ર કચ્છમાં જયારે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. લોકો ઠંડીથી થરથરી રહ્યા છે. ત્યારે માર્ગોમાં પડ્યા- પાથર્યા રહેતા લોકો, ખુલ્લામાં સૂતા લોકો, તથા ભૂંગા અને ઝુંપડાઓમાં પોતાનાં બાળકો સાથે રહેતા શ્રમજીવીક પરિવારોની વહારે મુંબઇની શ્રી વર્ધમાન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પરેલ સંસ્થા આવી છે. આ સંસ્થા દ્વારા ગરમ ધાબડા વિતરણ કાર્યનો પ્રારંભ માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વર તીર્થોથી કરાયો હતો. કોટેશ્વરથી ભુજનાં માર્ગે રસ્તાની બંને બાજુએ ઠંડીમાં ઠુંઠવાતા લોકોને ગરમ ધાબડા વિતરણ કરાયા હતા. અને લોકોને ઠંડી સામે રક્ષણ અપાયું હતું. માંડવી,અબડાસા, મુન્દ્રા વિસ્તારોમાં પણ ધાબડા વિતરણ શરૂ કરાયું છે. વિતરણ વ્યવસ્થા માનવજ્યોત પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રાજુ જાગી તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી.