અંકલેશ્વરની યુવાન મહિલા આબેદાબાનું બસીરખાન પઠાણ ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનોએ તેને શોધી કાઢવા રાત- દિવસ એક કરી દોડધામ કરી હતી. અંકલેશ્વર ગુજરાત હાઉસીંગ બોર્ડ મકાનોમાં રહેતી આ મહિલાનાં લગ્ન થયા હતા. પણ લગ્ન જીવન જાજું ચાલ્યું નહીં. તલાક થતાં જ તેણે માનસિક સમતુલા ગુમાવી હતી. ભાઇઓનાં ઘરેથી તે અચાનક ગુમ થતાં પરિવાર ચિંતાતુર બન્યો હતો.
રખડતી-ભટકતી તે પોપટભાઇ ફાઉન્ડેશન – આણંદમાં પહોંચી હતી. ત્યાં તેની ખૂબ જ સારી સારવાર થઇ. ત્યાંથી તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ.
આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ અંકલેશ્વર પોલીસનો સંપર્ક કરી માત્ર ૭ દિવસમાં તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા. તેનાં બંને ભાઇઓ તાબડતોબ ભુજ આવી પહોંચ્યા હતા. પરિવારની યુવાન મહિલાનો કબ્જો લઇ ખુશી અનુભવી રહેલા મુસ્લિમ પરિવારે માનવજ્યોત સંસ્થા ભુજની કામગીરીની પ્રશંસા કરી હતી.
મહિલાને ઘર છોડે ૩ મહિનાં થઈ ચૂકયા હતા. છતાં મહિલા હેમખેમ મળી આવતાં પરિવારે આનંદ વ્યક્ત કર્યો હતો. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, જયેશ લોડાયા, દિપેશ ભાટિયા, આરતી જોષી તથા સામાજીક કાર્યકરો મનીષા સોલંકી, ધર્મિષ્ઠા સોલંકી, વંદના સોલંકી, મિતલ પરમાર સહભાગી બન્યા હતા.