માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારનાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રીઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. તથા દરેક પરિવારોને મીઠાઇ વિતરણ કરવામાં આવેલ. ભુજ શહેરનાં હંગામી આવાસ મધ્યેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો.
કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ પીવા ઠંડુ પાણી મળે તેવા હેતુ સાથે એક દાતાશ્રીનાં સહયોગથી ભુજ વિસ્તારનાં ૨૦૦પરિવારોને ભૂંગા-ઝુંપડાઓમાં જઇ હાથો હાથ નળ સાથેનાં માટલા વિતરણ કરાયા હતા. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સામાજીક કાર્યકરો ગણપત ડુમાડીયા, સંજય ડામોર, અમત સોઢા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર, નિતિનભાઇ ઠક્કર, કરશનભાઇ ભાનુશાલીએ સંભાળી હતી.