છત્તીસગઢનાં ભાઇ-બહેનનું બે વર્ષે થયું મિલન

છત્તીસગઢનાં મહાસમુંદર વિસ્તારની મહિલા ઉ.વ. ૩૫ માનસિક સમતુલા ગુમાવતાં અચાનક ઘર છોડ્યું હતું. અને જુદા- જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી. આખરે દોઢ મહિનાં પહેલા તે મોરબીનાં યદુનંદન સેવાશ્રમ મધ્યે પહોંચી હતી. જ્યાં કાનજીભાઇ તથા આશ્રમ સ્ટાફે તેની સારી સારવાર કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા મોરબી આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે તેડી આવી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી છત્તીસગઢ પોલીસનો સંપર્ક કરી તેનો પરિવાર શોધી કાઢ્યો હતો.

છત્તીસગઢ પોલીસનાં હેમદાસ જેન્દ્ર તથા મહિલાનો ભાઇ ટીકારામ નિષાદ ભુજ આવી પહોંચ્યા હતા. ભાઇ-બહેનનું બે વર્ષ પછી મિલન થતાં બંનેની આંખો અશ્રુભીની બની હતી. તેના ભાઇનાં જણાવ્યા મુજબ માતા-પિતાએ ૪ એકર જમીન વહેંચી તેની સારવાર કરાવી હતી. આખરે મા-બાપ બંને તેની ચિંતામાં મૃત્યુ પામ્યા હતા. જવાબદારી ભાઇનાં શિરે આવી પડી હતી.

મહિલાનાં લગ્નવિચ્છેદ થયા છે. બે બાળકો તેનાં પતિ પાસે ઉછરી રહ્યા છે. આમ આ ગુમ મહિલા બે વર્ષ પછી પોતાનાં ભાઇ સાથે ઘર સુધી પહોંચી છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પરેશ ગોસ્વામી, જયેશ લોડાયા, પંકજ કુરવા સહભાગી બન્યા હતા.