રવાપરમાંથી મળેલો ૪૨ વર્ષિય માનસિક દિવ્યાંગ યુવાન ચેતન ૨૦ વર્ષ પછી પોતાના ઘર સુધી પહોંચશે દિપાવલીપર્વ પરિવાર સાથે મનાવશે

નખત્રાણા તાલુકાના રવાપર ગામમાંથી મળેલો ૪૨ વર્ષિય ચેતન ૨૦ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચશે. માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વરચી ભુજ આવી રહેલા માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરને રવાપર ગામનાં બસ સ્ટેશને ગામનાં કેટલાક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં લાંબા સમયથી એક માનસિક દિવ્યાંગ છે તેની ભાષા સમજાતી નથી.

ગામનાં તળાવ કાંઠે ઝાડીયો નંદર છૂપાઇને સૂતેલા માનસિક દિવ્યાંગ ચેતનને સેવાભાવી ગામ લોકોનાં સહકારથી પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામીએ બહાર કાઢી માનવજ્યોતનાં વાહનમાં બેસાડ્યો હતો.

નખત્રાણા તાલુકાના રવાપર ગામનાં સેવાભાવી લોકોએ જણાવ્યું હતું કે, સવારે પાંચ વાગે ઉઠી આ યુવાન ચેતન બસ સ્ટેશન વિસ્તારમાં સફાઇ કાર્ય કરી માર્ગોને ચકચકિત રાખે છે. ઘણાં લાંબા સમયથી પડવો-પાથર્યો રહે છે.

રવાપરથી તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવે સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરી મથુરકારી જીલ્લામાં આવેલ તેનું ગામ કુંડાખાટી શોધી કાઢી તેનાં પરિવારની તેની માતાને આ સંદેશો પહોંચાડતા સમગ્ર પરિવારે ખુશી અનુભવી હતી.

માત્ર ૧૮ કલાકમાંજ માનવજ્યોત સંસ્થાએ તેનું ઘર શોધી કાઢ્યું છે. પરિવારજનોની આર્થિક સ્થિતિ અત્યંત નાજુક છે. સંસ્થા પરિવારની આવવા-જવાની ટીકીટ ભાડા ખર્ચ સહિતની વ્યવસ્થા કરશે. આમ ૨૨ વર્ષનો ઘરેથી નીકળેલો યુવાન ૪૨ વર્ષનો થઇ ચૂકયો છે. અને ૨૦વર્ષ પછી ઘરે પહોંચશે અને દિપાવલી પર્વ પોતાના પરિવારજનો સાથે મનાવશે.