પશ્ચિમ બંગાળનાં બર્ધમાન જીલ્લાનાં કુલ્લી ગામનો યુવાન સબીર અબ્દુલ મનાંન ઉ.વ. ૨૮ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. જયાં માહિતી મળે ત્યાં પહોંચી જઇ પરિવારે તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. પણ તેનો અતો-પતો નમળતાં પરિવાર ખૂબ જ દુ:ખી થયો હતો.
તા. ૨૧-૭-૨૦૨૨ નાં માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીકબાવાને તે ભુજનાં જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર શરૂ કરવામાં આવતાં તે ધીમે ધીમે સ્વસ્થ બનતો ગયો. સંસ્થાનાં સામાજીક કાર્યકર રિતુબેન વર્માએ સબીર પાસેથી મળેલી માહિતિનાં આધારે પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું હતું.
તેનાં પિતા અબ્દુલભાઇ તુરત જ તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી પુત્રનો કબ્જો લીધો હતો. પિતા-પુત્ર બંને એક-બીજાને ભેટી પડ્યો હતા. બંનેની આંખો અશ્રુભીની બની હતી. આખરે સબીર ૧ વર્ષ પછી પોતાનાં ઘરે પાછો ફરતા પરિવારજનોમાં ખુશી છવાઇ હતી. અને માનવજ્યોત સંસ્થા ભુજનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં માનવજ્યોતનાં રીતુબેન વર્મા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી, માનસિક આરોગ્યની હોસ્પીટલ-ભુજ સહયોગી બન્યા હતા.