બે-બે દાયકા પછી ગુમ થયેલી મહિલા મળી આવતા પરિવારજનો સાથે થયું ફેરમિલન

ઉત્તરાખંડ રાજ્યનાં અલમોરા જીલ્લાનાં સુનોલી ગામની મહિલા ચન્દાદત ઉ.વ. ૪૬ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ કયાં પણ એનો અતો પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા.
પાંચ વર્ષ પહેલા તે રખડતી-ભટકતી હાલતમાં બાયડનાં જય અંબે મંદુબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટને મળી આવતાં સંસ્થાનાં અશોકભાઇ જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ અને સર્વે સંચાલકોએ તેની ખૂબ જ સેવા કરી હતી.

સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર અને માનવજ્યોતનાં પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે ભુજ લઇ આવ્યા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી માત્ર ૧૫ દિવસમાં ઉત્તરાખંડ પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢવામાં આવ્યું. સમાચાર મળતાં જ પરિવારજનોએ વીડીયો કોલ દ્વારા મહિલાની ખાત્રી મેળવી તુરતજ ભુજ આવવા નીકળ્યા હતા. ૧૯-૧૯ વર્ષનાં વાયરા વીતી ગયા પછી પણ પરિવારજનોએ પરિવારની વ્યક્તિને ઓળખી કાઢી હતી. તેના પુત્ર અને વધુ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા. માતા-પુત્રનું ૧૯ વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. દરેકની આંખો અશ્રુભીની બની હતી. પુત્રના જણાવ્યા મુજબ માતાનો એક દીકરો અને ત્રણ દીકરી છીએ. ત્રણે દીકરીઓનાં લગ્ન થઇ ગયા છે. પિતાનું અવસાન થતાં માતાએ માનસિક સમતુલા ગુમાવી અને પુત્ર ૧૧ વર્ષનો હતો ત્યારે માતાએ ઘર છોડ્યું હતું. આજે પુત્ર ૩૦ વર્ષનો થઇ ગયો એનાં લગ્ન પણ થઇ ગયા. પરિવારજનોએ માની લીધું હતું કે માતા હવે આ દુનિયામાં નહીં હોય છતાં બે દાયકા વીત્યા પછી માનવજ્યોત સંસ્થા ભુજ અને જય અંબે મંદબુદ્ધિ આશ્રમ બાયડનાં સફળપ્રયત્નો અને પોલીસની મદદથી આખરે પુત્ર ને ૧૯ વર્ષ પછી માતા પાછી મળી હતી. અત્યારે માતાની ઉંમર ૬૫ વર્ષ થઇ ચૂકી છે.

ખુશ ખુશાલ પરિવારે સંસ્થાઓનો આભાર માન્યો હતો. માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી તથા સામાજીક કાર્યકરો મનીષા સોલંકી, ધર્મિષ્ઠા સોલંકી, વંદના સોલંકી, મિલન પરમાર સહભાગી બન્યા હતા.