માનવજ્યોતનાં માધ્યમથી ૯૪૭ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૬ વર્ષ દરમ્યાન કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૯૪૭ માનસિક દિવ્યાંગોને સારી સારવાર આપી, સ્વસ્થ બનાવી તેનું ઘર શોધી આપી, પરિવારજનો સાથે ફેરમિલન કરાવવામાં સંસ્થાને સફળતા મળી છે. ડો. મહેશભાઇ ટીલવાણીએ દરેકને સારવાર આપી હતી. 

છેલ્લા ૩ વર્ષથી સંસ્થાએ પાલારા-કચ્છ મધ્યે જેનું અહીં કોઈ સગું-સ્નેહી નથી તેવા માનસિક દિવ્યાંગો માટે આશ્રય સ્થાનરૂપી શ્રી રામદેવસેવાશ્રમ શરૂ કર્યું. માત્ર ૩વર્ષનાં ટુંકા ગાળામાં આ આશ્રમ સ્થળેથી ૩૭૫ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી તેમનાં ઘર સુધી પહોંચાડી પરિવારજનો સાથે ફેર-મિલન કરાવ્યું છે. 

કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા આવા માનસિક દિવ્યાંગો પાંચ-દશ-પંદર-વીસ-પચ્ચીસ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યા છે. છેલ્લે ૧ માનસિક દિવ્યાંગ ૩૫ વર્ષ પછી ઘરે પહોંચ્યો. પોતાનાં સ્વજનને શોધી રહેલા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે. આસામ, નાગાલેન્ડ, યુ.પી., એ.પી., મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર તથા અન્ય રાજ્યોમાં આવા માનસિક દિવ્યાંગોને પોતાનાં ઘર સુધી પહોંચતા કરાયા છે

સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, અરવિંદભાઈ ઠક્કર, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, દિપેશ શાહ, કરશન ભાનુશાલી, લવભાઈ ઠક્કર તથા સર્વે કાર્યકરોની ટીમ પોતાની સેવાઓ આપી રહી છે.