કચ્છમાં રસ્તે રઝળતા 2100 માનસિક દિવ્યાંગો પોતાનાં રાજ્ય-ગામ-પરિવાર સુધી પહોંચ્યા

ગુમ લોકોનાં ઘર-પરિવાર શોધવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા 2100 માનસિક દિવ્યાંગો પોતાના ઘર-પરિવાર સુધી પહોંચ્યા છે. દરેક રાજ્યની અને સમગ્ર કચ્છની પોલીસ માનવતાનાં આ સેવાકાર્યમાં મદદરુપ બની છે.

ટ્રેન કે અન્ય વાહનો મારફતે અને પગે ચાલીને કચ્છ પહોંચેલા અને કચ્છનાં ગામડાઓમાંથી મળેલા રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો પાંચ, દશ, પંદર, વીસ, પચ્ચીસ, પાંત્રીસ વર્ષો પછી પોતાનાં રાજ્ય, ગામ, પરિવાર સુધી પહોંચ્યા છે. પરિવારજનોમાં અનેક ઘણી ખુશી છવાઇ છે. સંસ્થાના સામાજીક કાર્યકર રીતુબેન વર્મા કાઉન્સીલીંગ કરી રહ્યા છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દિપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, મનસુખભાઇ નાગડા, નીતીન ઠક્કર, ગોવિંદભાઇ પાટીદાર, શંભુભાઇ જોષી, નરશીંભાઇ પટેલ સહયોગ આપી રહ્યા છે.