માનવજ્યોત સંસ્થા દ્વારા ગુજરાતનાં માનસિક દિવ્યાંગોનાં વિવિધ આશ્રમો સાથે સંકલન કરી જે-તે આશ્રમોનાં માનસિક દિવ્યાંગોને ઘર-પરિવાર શોધી આપી ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ગુજરાતનાં વિવિધ આશ્રમોનાં 375 માનસિક દિવ્યાંગોને ભુજની માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડી દીધા છે. વર્ષો પછી તેમનું પરિવારજનો સાથે ફેર મલિન થયું છે.
પરિવારજનો તેમને વર્ષોથી શોધી રહ્યા હતા. આવા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી તેમનાં રાજ્ય, શહેર, ગામ પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે. જેમાં દરેક રાજ્યની પોલીસ ખૂબ જ મદદરુપ બની રહેલ છે.
સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રીતુબેન વર્માનાં જણાવ્યા મુજબ બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવાશ્રમનાં 16 અને સોમનાથનાં નિરાધારનો આધાર આશ્રમનાં 13 મળી 29 માનસિક દિવ્યાંગ ભાઇઓને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવ્યા છે. દરેકનાં પોલીસ વેરીફેકેશન કરાવવામાં આવ્યા છે.
આ દરેકનાં ઘર પરિવાર શોધી તેમને ઘર સુધી પહોંચતા કરાશે. દરેકનાં પરિવારો જે-તે રાજ્યનાં શહેર-ગામથી પાલારાની પાવનભૂમિ સુધી પહોંચી આવી પોતાનાં વ્હાલસોયા સંતાનોનો કબ્જો લે છે. વર્ષો પછી થતા મિલન થી ભાવુક દ્રશ્યો સર્જાતા રહે છે. અને પરિવારજનોની આંખો અશ્રુભીની બની જાય છે. અને પરિવારમાં ખુશીનું મોજું ફરી વળે છે. ગુમ વ્યક્તિ મળી આવ્યા હોવાની વાત પરિવારજનો મોબાઇલ તથા વીડીયોકોલથી પોતાનાં સગા-સંબંધી સુધી પહોંચાડી પૂરો પરિવાર ખુશી મનાવે છે.