નાગાલેન્ડ રાજ્યનાં ઓસુકુમ ગામની એક ૪૮ વર્ષિય યુવાન મહિલા ટ્રેન મારફતે ભુજ સુધી આવી પહોંચી હતી. પગે ચાલી લખુરાઇ ચાર રસ્તા સુધી પહોંચતા ત્યાંના ગન્ની ઇસ્માઇલ કુંભાર, અબ્દુલકાદર કુંભાર તથા સુલેમાન કાસમ કુંભારે તેને રીક્ષાથી માનવજ્યોત કાર્યાલયે પહોંચાડી હતી. પેન્ટ-શર્ટમાં સજ્જ આ મહિલાની ભાષા સમજી શકાય તેમ નહોતી.
સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર અને માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચાડી તેની ડો. મહેશભાઇ ટીલવાણી તથા ડો. પાટનકર પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બની હતી.
માનવજ્યોતનાં સોશ્યલ વર્કર રિતુબેન વર્મા તથા ગુલાબ મોતાએ નાગાલેન્ડ પોલીસનો સંપર્ક કરતાં તેનું ઘર શોધવામાં સફળતા મળી હતી. તેનો ભાઇ બહેનને તેડવા ૨૭૦૦ કિ.મી. દુર નાગાલેન્ડથી ભુજ આવી પહોંચ્યો હતો. તેનાં જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં બંને એ છુટા છેડા લીધા છે. અને બંને પતિ-પત્ની ત્રણ-ત્રણ બાળકોની જવાબદારી નભાવી રહ્યા છે. દોઢ વર્ષથી ગુમ માતા ઘરે આવવાની બાળકો રાહ જાઇ બેઠા છે.આખરે મહિલા તેનાં ઘર અને બાળકો સુધી પહોંચી છે. બાળકો ખુશ-ખુશાલ બન્યા છે.
માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યેથી છેલ્લા બે મહિનામાં જુદા-જુદા રાજ્યોનાં ૨૬ પરિવારો પોતાનાં સંતાનોને તેડવા ભુજ સુધી પહોંચ્યા હતા. માનવતાનાં આ કાર્યમાં દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, વાલજી કોલી સહભાગી બન્યા હતા.