ઉત્તરપ્રદેશનાં સારનપુર વિસ્તારની મહિલા ઉ.વ. 26 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પણ તે નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. આ મુસ્લિમ પરણિત મહિલા અનેક રાજ્યોનાં અનેક શહેરોમાં સતત રખડતી-ભટકતી રહી હતી. તેણે અનેક મુશ્કેલીઓ વેઠી આફતોનો સામનો કર્યો. આખરે વર્ષો પછી તે રખડતી-ભટકતી ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ આશ્રમમાં પહોંચી હતી. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી. બાયડનાં આશ્રમમાં તે છ વર્ષ સુધી રહી. તેનું ઘર પરિવાર શોધવું કઠીન કાર્ય હતું. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં
માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવતાં તે સ્વસ્થ બની હતી. તેની પાસેથી મળેલી માહિતીનાં આધારે ઉત્તરપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર અને પરિવાર શોધી કાઢતાં પરિવારજનોને સમાચાર પ્રાપ્ત થતાં જ પરિવારજનો આશ્ર્ચર્યચક્તિ બન્યા. તુરત જ માનવજ્યોત સંસ્થામાં વીડીયો કોલ લગાડી પરિવારની વ્યક્તિની ખાત્રી મેળવી લેતાં સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઇ હતી.
માતાએ ઘર છોડ્યું ત્યારે પુત્ર નવસાદ 7 વર્ષનો હતો. આજે માતાની ઉંમર 54 વર્ષની થઇ ગઇ છે. પુત્ર નવસાદના લગ્ન માતાની ગેરહાજરીમાં થઇ ગયા. ખુશી અને આનંદ વ્યક્ત કરતાં પરિવારનાં તેનો પુત્ર તેની બે બહેનો તથા પાડોશી મિત્ર ઉત્તરપ્રદેશથી ભુજ આવી પહોંચ્યા હતા. 28- 28 વર્ષ પછી માતા-પુત્ર અને બહેનો-બહેનો વચ્ચે વર્ષો પછી મિલનની ઘડી આવી ચૂકી. ભાવુક દ્રશ્યો સર્જાયા. સૌની આંખોમાં આસુંનાં પુર વહ્યા. મહિલાએ પોતાનાં વ્હાલસોયા દીકરા અને બહેનોને નામથી બોલાવી જુની યાદો તાજી કરાવતા દરેકને ભેટી પડી હતી. ઘણાં જ લાંબા સમય 28 વર્ષ પછી પરિવારની કરૂણતા અને વેદનાનો અંત આવ્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી સહભાગી બન્યા હતા. ઉત્તર પ્રદેશના મુસ્લિમ પરિવારે માનવજ્યોત સંસ્થાને આશીર્વાદ પાઠવ્યા હતા.