મધ્યપ્રદેશનો યુવાન ૧૦ વર્ષ પછી ઘરે પહોંચ્યો પત્નીએ બીજા લગ્ન કરી લીધા પોલીસ અને પત્રકાર મદદરૂપ બન્યા

મધ્યપ્રદેશના ધાર વિસ્તારનાં રાયગઢ તાલુકાનાં તિરલા ગામનો યુવાન અમરસિંઘ ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે સતત રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે સૌરાષ્ટ્રનાં મહુવા શહેરના પોપટભાઇ ફાઉન્ડેશન સંસ્થામાં પહોંચ્યો હતો. સંસ્થાએ તેની ખૂબ જ સારી સેવાઓ કરી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજયોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા મહુવા આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ લઇ આવ્યા. મધ્યપ્રદેશ પોલીસ તથા ધાર વિસ્તારનાં એસ.પી., તિરલા પોલીસ સ્ટેશન અને સરદારપુરનાં પત્રકારશ્રીની મદદથી તેનું ઘર શોધી કઢાયું.

અમરસિંહને માનવજ્યોત સંસ્થાએ ધાર સુધી પહોંચાડ્યો પત્રકાર, રાયગઢ અને તિરલા પોલીસે તેના સગા-સંબંધીઓને પોલીસ સ્ટેશને બોલાવી અમરસિંઘનો કબ્જો સોંપ્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નાજુક હોતાં માનવજયોત સંસ્થાએ આ યુવાનને ઘર સુધી પહોંચાડવાનાં કરેલા પ્રયત્નો સફળ થયા હતા. અડધી રાત્રે ત્યાંની પોલીસ અને પત્રકારે આ યુવાનનો કબ્જો પરિવારજનોને સોંપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોનાં જણાવ્યા મુજબ આ યુવાને ઘર છોડતાં તેની લાંબી રાહ જોયા પછી પત્નીએ બીજા લગ્ન કરી લીધા હતા. આજે આ યુવાન ૪૦ વર્ષનો થઈ ચુકયો છે.

માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટીયા, જીતેશ મણીઆર, પ્રતાપ ઠક્કર, વિજય ગંગર, ઈરફાન લાખા સહભાગી બન્યા હતા.