જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૬ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૪ મળી ૨૦ માનસિક દિવ્યાંગોએ સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કર્યું હતું.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સચિવ અને જયુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબે, જયારે અતિથિવિશેષ પદ પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ રાવ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.પી. રોહડિયા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વિપુલકુમાર બી. ડોરીયા, જીલ્લા પેનેલ એડવોકેટ અને મીડીએટર શ્રી પ્રવીર ધોળકીયા, રેલ્વે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસો. ભુજનાં પ્રમુખ એ.વાય.આકબાની, સામાજિક કાર્યકર શ્રી વસંતભાઇ અજાણી, કેરાનાં દાતાશ્રી વાલજીભાઇ મુરજી પટેલે શોભાવ્યું હતું.
પ્રારંભે સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે માહિતી આપતાં જણાવ્યું હતું કે આસામ, દિલ્હી, છત્તીસગઢ, પ.બંગાળ, ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, આંધ્રપ્રદેશ જેવા ૧૧ રાજ્યોમાં આ ૨૦ માનસિક દિવ્યાંગો પોતાનાં ઘર સુધી પહોંચશે. જયાં પરિવારજનો સાથે વર્ષો પછી તેઓનું ફેર મિલન થશે. વર્ષોથી તેઓને શોધી રહેલા પરિવારમાં ખુશીનું મોજું છવાશે. ૧૩ પુરૂષો તેમજ ૭ મહિલાઓ જે કચ્છમાં રસ્તે – રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા હતા. એકલા-અટુલા-નિરાધાર આવા માનસિક દિવ્યાંગો ટ્રેન મારફતે કચ્છમાં આવી અને જુદા-જુદા ગામો-શહેરો સુધી પહોંચી જઇ રઝળી રહ્યા હતા. માનવજ્યોત દ્વારા આવા માનસિક દિવ્યાંગોને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરી મનોચિકિત્સક ડોકટરશ્રીઓ દ્વારા સારવાર કરાવવામાં આવે છે. સ્વસ્થ બનતાં જ તેઓની થોડી યાદશક્તિ પાછી ફરતો જ તેમની પાસેથી મળેલ માહિતીના આધારે જુદા-જુદા રાજ્યોની પોલીસનો સંપર્ક કરી તેઓનું ઘર શોધવામાં સંસ્થાને સફળતા મળે છે. છેલ્લા ૧૯ વર્ષથી સંસ્થા આ પ્રવૃત્તિ કરતી રહી છે. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની સ્થાપનાંને પાંચ વર્ષ પૂરા થયા છે. સંસ્થાએ માત્ર પાંચ વર્ષમાં કચ્છમાંથી ૬૫૦ માનસિક દિવ્યાંગોને જુદા-જુદા રાજ્યોમાં ઘર સુધી પહોંચાડી દીધા છે. જયારે સંસ્થાની પ્રવૃત્તિની શરૂઆતથી અત્યાર સુધી ૧૨૦૦ માનસિક દિવ્યાંગો પરત ઘરે પહોંચી શકયા છે.
શ્રી સહદેવસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી સૌને મીઠડો આવકાર આપ્યો હતો. શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સુરેશભાઇ માહેશ્વરીએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું. ઘરે જઇ રહેલા ૨૦ માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી, અક્ષતે વધાવી, હારતોરો સાથે ખેસ પહેરાવી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવાઇ હતી. આ ૨૦ માનસિક જુદા-જુદા ૧૧ રાજ્યોમાં પોતાનાં ઘર સુધી પહોંચશે. અહીંથી દરેકને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મર્ચ મોકલાવવામાં આવેલ. ત્યાંથી દરેક પોતાના ઘર સુધી પહોંચશે.
શ્રી વસંતભાઇ અજાણીએ માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવતાં સાચી દિશાનું કાર્ય ગણાવ્યું હતું. શ્રી એ.વાય.આકબાનીએ જણાવ્યું હતું કે ઉત્તમ સેવાકાર્ય અહીં થઇ રહ્યું છે. શ્રી અરવિંદભાઇ રોહડિયાએ જણાવ્યું હતું કે માનસિક દિવ્યાંગો માટે સંસ્થા દ્વારા કરાતું કાર્ય અદ્ભુત છે. શ્રી રાજેન્દ્રસિંહ રાવે જણાવ્યું હતું કે માનવજ્યોત દ્વારા માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય અમર રહેશે. જીલ્લા પેનેલ એડવોકેટ અને મીડીએટર શ્રી પ્રવીર ધોળકીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ કરનાર સંસ્થાઓમાં માનવજ્યોતનું નામ મોખરે છે.
કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ અને જયુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબે જણાવ્યું હતું કે કોરોના કાળ દરમ્યાન જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે મળીને કાર્ય કર્યું, જેથી અનેક લોકો સુધી પહોંચવાનો મોકો મળ્યો. ઘણું બધું શીખવા મળ્યું. જરૂરતમંદોને મદદ કરી શક્યા. માનસિક દિવ્યાંગો માટે માનવજ્યોત સંસ્થા સાથે મળી શ્રેષ્ઠ કાર્ય કરવાનું થયું.
બદલી પામેલા જજ શ્રી બી.એન. પટેલ સાહેબનું પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ.
આ અવસરે ગુજરા વિદ્યાપીઠનાં માનવજ્યોતમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ લઇ રહેલા ત્રણે વિદ્યાર્થી-ભાઇ બહેનોને જજ સાહેબનાં વરદ્ હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં જયાબેન મુનવર, કલ્પનાબેન ચોથાણી, અનીતાબેન ઠાકુર, રાખીબેન અંજારિયા, માલાબેન જોષી, હાફિઝાબેન સમા પોતાનાં મંડળો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
માનવતાના આ કાર્યમાં સહકાર આપનાર શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત, ગુજરાત અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ જી.કે. જનરલ હોસ્પીટલ, અર્બલ હેલ્થ સેન્ટર, બી ડિવિઝન પોલીસ સ્ટેશન-ભુજ, માનસિક આરોગ્ય હોસ્પિટલ- ભુજનો ખાસ આભાર માનવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શ્રી શંભુભાઇ જોષીએ કરેલ વ્યવસ્થામાં રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, રમજાન મમણ, મુરજીભાઇ ઠક્કર, ભુપેન્દ્રભાઇ બાબરીયા, કનૈયાલાલ અબોટીએ સહકાર આપ્યો હતો.