પોતાની ગુમ વ્યક્તિ અંગે સતત ચિંતા સેવી રહેલા અનેક પરિવારો વર્ષો પછી જયારે પોતાનાં પરિવારની વ્યક્તિને મળે છે ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય છે. દૂર- દૂરનાં રાજ્યોનાં શહેરો-ગામડાઓમાંથી પોતાનાં પરિવારની વ્યક્તિને તેડવા તેઓ લાંબી મુસાફરી કરી ભુજ સુધી પહોંચે છે.
વર્ષોના વર્ષો પછી ગુમ વ્યક્તિ મળી આવતાં અને તેની સાથે મિલન થતાં તેને તેડવા આવેલા પરિવારજનો આંખોમાંથી દળ-દળ પડતા આંસુ રોકી શકતા નથી. પાંચ થી પચ્ચીસ વર્ષ પછી મળી આવેલા પરિવારજનને જોઈ દૂર-દૂરથી દોડી જઈ તેને ભેટી પડે છે. એમને છૂટા પાડવા મુશ્કેલ પડે છે. મિલન વખતે પ્રેમની લાગણી અનેક ઘણી જોવા મળે છે. ધ્રુસકે-ધ્રુસકે રડતા પરિવારજનો નજરે જોવા મળે. મિલન વખતે પોતે રડે… પાસમાં ઉભેલાની પણ આંખો અશ્રુભીની બની જાય.
પોતાના ગુમ વડીલો… પોતાનાં ગુમ સંતાનો માટે પરિવારજનો રાત- દિવસ એક કરે છે. જ્યાંથી સમાચાર પ્રાપ્ત થાય ત્યાં પહોંચી જઈ ગુમ વ્યક્તિની શોધ ચલાવે છે. આખરે નમળતાં તેઓ નિરાશ થઈ ઘરે પાછા ફરતા હોય છે. મા-બાપનું સંતાન મંદબુદ્ધિ,મેન્ટલ, મૂંગો-બહેરો ગમે તેવો હશે પણ મા-બાપની તેના પ્રત્યેની પ્રેમ –લાગણી-મમતા અનેરી હોય છે. ઘરની ગુમ વ્યક્તિ જયારે ગુમ થાય ત્યારથી જ પરિવારજનો અનેક મુશ્કેલીઓ વેઠતા હોય છે. “મા,, ની મમતા કરૂણા અને પ્રેમની અપાર લાગણીઓ અહીં પ્રગટ થાય છે. ભુજની માનવજ્યોત સંસ્થાએ આવા અનેક મિલનો કરાવ્યા છે. જેમાં ભારત દેશનું કોઈ રાજ્ય બાકી નથી. કચ્છમાં રસ્તે- રઝળતા અને માર્ગોમાં પડયા-પાથર્યા રહેતા આવા માનસિક દિવ્યાંગો તથા ગુમ
બાળકો,યુવતીઓ, વૃદ્ધો, પુરૂષો, મહિલાઓને શોધી આપવામાં માનજ્યોત સંસ્થા ભુજને બહુ મોટી સફળતાઓ મળી છે. પરિવારથી વિખુટા પડી ગયેલા 2977 લોકોને માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા. જેમાં 1801 તો માનસિક દિવ્યાંગો હતા. ભુજ નજીક આવેલ પાલારા-કચ્છની પાવનધરા અને શ્રી રામેશ્વર મહાદેવજીની અસિમકૃપાથી અનેક વિખુટા પડેલા પરિવારોની ગુમ વ્યક્તિઓ મળી આવતાં પરિવાર એક બન્યો. પરિવારોની વેદનાઓ મુશ્કેલીઓનો અંત આવ્યો. ગુમ થયા પછી મળી આવેલા અને પરિવારજનો સાથે થતા મિલનની તસ્વીરો-સ્ટોરી અખબારો-મીડીયા મારફતે વાંચી, જોઈ લોકો પણ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા હોય છે. માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધ વડીલો માટે માનવજ્યોત સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓને અને માનવસેવા કાર્યને લોકો વધાવતા હોય છે અને સંસ્થાનાં કાર્યની અનુમોદના કરતા રહે છે.