ગુજરાતની વિવિધ સંસ્થાઓનાં ૨૦૦ માનસિક દિવ્યાંગોને ભુજની માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચતા કર્યા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગુજરાતનાં વિવિધ માનસિક દિવ્યાંગોનાં આશ્રમોનો સંપર્ક કરી તેમની સાથે સંકલન કરી તેઓનાં આશ્રમમાં રહેલા માનસિક દિવ્યાંગોના ઘર શોધી, પરિવાર સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ મોરબી, મહુવા, સોમનાથ, બાયડ, આણંદ, ગાંધીધામ, ભચાઉની વિવિધ માનસિક દિવ્યાંગોની સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. માનસિક દિવ્યાંગોની આ સંસ્થાઓ, આશ્રમોમાંથી માનસિકદિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે લઇ આવી તેઓની સારવાર કરાવી, તેઓનું રાજ્ય, શહેર, ગામ, ઘર પરિવાર શોધવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. માત્ર છ મહિનામાં ગુજરાતનાં માનસિક દિવ્યાંગોનાં આશ્રમોનાં ૨૦૦પુરૂષો, મહિલાઓનું ઘર શોધવામાં સંસ્થાને સફળતા મળી છે. ઘણાં જ વર્ષોથી પરિવારજનો જેમને શોધતા હતા એવા માનસિક દિવ્યાંગો ભાઇ-બહેનોનું પોતાનાં પરિવારજનો સાથે લાંબા સમય પછી મિલન થતાં પરિવારજનોમાં ખુશી છવાઇ છે. પાંચ-દશ-પંદર-વીશ વર્ષો પછી પરિવારોને પોતાની ગુમ વ્યક્તિ મળી છે.

સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માનાં સફળ પ્રયત્નો તથા દરેક રાજ્યની પોલીસ માનવજ્યોત સંસ્થા ભુજને ખૂબ જ મદદરૂપ બની છે. જેનાં કારણે આવા માનસિક દિવ્યાંગોનું પરિવારજનો સાથે ફેરમિલન કરાવવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળી છે.