પશ્ર્ચિમ બંગાળનાં કાયથા જીલ્લાનો યુવાન મેંનુર ઇસ્માઇલ શેખ ઉ.વ. 37 ગુમ થતાં પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.
આખરે તે 11 વર્ષ બાદ સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરી. ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને સેવાભાવીઓએ તેની ખૂબ જ સારી સરભરા સાથે સેવાઓ કરી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સૂરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા સ્થળે રાખી પશ્ચિમ બંગાળ પોલીસની મદદ લઇ તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા. તેનાં ભાઇઓ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા. 11 વર્ષ પછી ભાઇઓનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
પરિવારજનોનાં જણાવ્યા મુજબ તેને પત્ની તથા બાળક છે. લગ્ન પછી થોડા જ દિવસોમાં તેણે ઘર છોડ્યું હતું. અને લગ્નનાં એક વર્ષે પત્નીએ બાળકને જન્મ આપ્યો. બાળક આજે 11 વર્ષનો થઇ ચૂકયો છે. તેણે તેનાં પિતાને નથી જોયા, તો પિતાએ પોતાનાં બાળકને નથી જોયો અત્યારે આ યુવાનની ઉંમર 48 વર્ષની થઇ ચૂકી છે.
આખરે તે પોતાનાં ઘર પરિવાર સુધી પહોંચતા પુત્રે પિતાને તો પિતાએ પુત્રને 11 વર્ષ પછી પ્રથમ વખત જોઇ ખુશી અનુભવી હતી. પત્નીએ પતિનાં ઘરે આવવાથી આનંદ વ્યક્ત કર્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દિપેશ શાહ, રફીક બાવા સહભાગી બન્યા હતા.