બિહારનાં મુસ્લિમ પરિવારનાં યુવાનનુંબે વર્ષ પછી પરિવાર સાથે થયું મિલન

બિહારનાં પૂર્વીચમ્પારણ વિસ્તારનાં રકસોલ ગામનો મુસ્લિમ યુવાન અબ્દુલ ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવાર ચિંતાતુર બન્યો હતો.

રખડતો-ભટકતો તે ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી.

માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમને મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી સારવાર કરાવતાં તે માત્ર સતર દિવસમાં સ્વસ્થ બન્યો હતો.

તેનાં પાસેથી મળેલી માહિતીનાં આધારે બિહાર પોલીસની મદદથી તેનું ગામ-પરિવાર શોધી કાઢવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળી હતી.

ગરીબ અને નબળી પરિસ્થિતિનો સામનો કરતાં પરિવારની મદદે રકસોલ ગામનાં સરપંચ આવ્યા. તેમણે ગામમાંથી ચંદો કરી પુત્રને તેડવા તેનાં માતા-પિતાને ભુજ મોકલાવ્યા. આશ્રમ સ્થળે માતા-પિતા સાથે પુત્રનું મિલન થતાં આંખોમાં અશ્રુનાં પુર વહ્યા હતા. માતા-પુત્ર ને ભેટ્યા પછી પણ રુદન ચાલુ રાખ્યું હતું. ગરીબ કે નબળા પરિવારની માતાની મમતા અને કરુણા અહીં જોવા મળી. પુત્ર પ્રત્યેની મા-બાપની અનેરી લાગણીએ સૌની આંખો અશ્રુભીની કરી નાખી. ગુમ થયેલા વિખુટા પડી ગયેલા અને બે વર્ષનાં સમય ગાળા પછી મળેલા પુત્ર ઉપર માતાએ કરુણા સાથે મમતા વરસાવી હતી. માનવજ્યોત દ્વારા પરિવારને બિહાર સુધીનું ટીકીટ ભાડું તથા સૂકો નાસ્તો અપાયો હતો.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક બાવા સહભાગી બન્યા હતા.