દશેરા દિવસે પિતા-પુત્રનું બે વર્ષ પછી થયું મિલન

ઉત્તરપ્રદેશનાં મહારાજગંજ વિસ્તારનાં શિવતરી ગામનો યુવાન ગણેશ સહાની ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરત શહેરનાં આશીર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. કામરેજનાં ધોરણ પારડીમાં આવેલ આ આશ્રમનાં સંચાલકોએ તેની સારી સરભરા સાથે ખૂબ જ સારી સેવાઓ કરી.

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સૂરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવ્યા.

યુવાન પાસેથી મળેલી માહિતિનાં આધારે ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર-પરિવાર શોધી કઢાયા હતા. તેનાં પિતા અને મામા ભુજ આવી પહોંચ્યા. પિતા-પુત્રનું દશેરા દિવસે બે વર્ષ પછી મિલન થતાં બંને એક- બીજાને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ગુમ યુવાન ગણેશ મળી આવતાં ખુશ ખુશાલ પરિવારે મોબાઇલ દ્વારા વીડીયો કોલથી તેને જોઇ વાતચીત કરી હતી. અને સમગ્ર પરિવારે દશેરા પર્વની અનોખી ઉજવણી કરી હતી.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટીયા સહભાગી બન્યા હતા.