મધ્યપ્રદેશનાં ધારા જીલ્લાનાં જમરાપાડા ગામનો યુવાન મંચ્છારામ ઉ.વ. 45 ગુમ થતાં પરિવારજનોએ ચિંતાતુર બની તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી.
માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવી તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ મધ્યે સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.
મધ્યપ્રદેશ પોલીસની મદદથી તેનું ઘર અને પરિવાર શોધી કઢાતાં પરિવારનાં તેનો ભાઇ મિથુન જમરા ભુજ આવી પહોંચ્યો હતો. બંને ભાઇઓનું પાંચ વર્ષે મિલન થતાં બંને ભેટી પડતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તેનાં ભાઇનાં જણાવ્યા મુજબ તેને પત્ની તથા બે બાળકો અને ત્રણ બાળકી છે. બાળકો પણ પિતા ઘરે આવવાની રાહ જોઇ બેઠા છે. આજે તે 50 વર્ષનો થઇ પોતાનાં ઘર-પરિવાર સુધી પહોંચ્યો છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી સહભાગી બન્યા હતા.