માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી કરવામાં આવી રહી છે.
આશ્રમ સ્થળે 15 દિવસ સુધી દરરોજ સવારે 11 વાગે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. જુદા-જુદા મહિલા મંડળો, ભાઇ-બહેનો, પરિવારો શ્રાદ્ધની વિધિ કરવા માનવજ્યોતનાં આશ્રમ સુધી પાલારા મધ્યે પહોંચે છે. સેડાતા મહાદેવ મંદિરનાં પૂજારી દિપક મારાજ નારાયણ સરોવરવાળા શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરાવે છે. સાથે સાથે શ્રાદ્ધનું મહત્વ પણ સમજાવે છે.
કેટલાયે પરિવારો પોતાનાં સ્વજનો, આત્માજનોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધની વિધિ ભાવપૂર્વક કરે છે. પિતૃને પાણી અર્પણ કરાવ્યા બાદ દરરોજ આરતી યોજાય છે.
ત્યાર બાદ ઉપસ્થિત સર્વે મંડળો, ભાવિકો, સ્વહસ્તે આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન જમાડી પુણ્યનું ભાથું બાંધતા હોય છે. શ્રાદ્ધનાં 15 દિવસ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આ કાર્ય ચાલુ રહેશે.