ભુજથી માંડવી માર્ગે ખત્રી તળાવ પાસે નારાણપરનાં પ્રવિણગીરી એન. ગોસ્વામી સંચાલિત શિવશક્તિ રેસ્ટોરેન્ટ આવેલું છે. આ રેસ્ટોરેન્ટમાં માનવજ્યોત સંસ્થા ભુજનાં 50 થી વધુ ચકલીઘર ને કુંડા લટકતા જોવા મળે છે. આ દરેક ચકલીઘર હાઉસફુલ છે. દરેક ઘરોમાં ચકલીઓ જોવા મળે છે. આ રેસ્ટોરેન્ટમાં દિવસભર ચકલીઓનું સુમધુર ચીં….ચીં નું સંગીત સાંભળવા મળે છે.
રેસ્ટોરેન્ટ માલિક પ્રવિણગીરી એન. ગોસ્વામીએ જણાવેલ કે આ ચકલીઓની સેવા થકી મારો રેસ્ટોરેન્ટ સારો ચાલે છે. સવારનાં રેસ્ટોરેન્ટ ખોલતાંજ ચકલીઓ માટે ચણ- પાણીની વ્યવસ્થા કરૂ છું. ચા-નાસ્તો-ઠંડા પીણા માટે રેસ્ટોરેન્ટમાં આવતા લોકો ક્ષણભર ચકલીઘરોમાં ચકલીઓનું આવન-જાવન જોવા થોભી જાય છે. અને અનેક દ્રશ્યો પોતાનાં મોબાઇલમાં કેદ કરે છે. અને ચકલીઓનું મીઠું ચક-ચક ગાન સાંભળવા તથા ચકલીઘરોમાં ચકલીઓને આવતી-જતી જોવા ઉભા રહી જાય છે. દરેક ચકલીઘરોમાં ચકલીઓએ માળા બાંધી ઇંડાનું સેવન કરી બચ્ચાનો ઉછેર કરી રહી છે. જીવદયાનાં આ કાર્યથી આત્માને સંતોષ થાય છે તેવું રેસ્ટોરેન્ટ માલિક પ્રવિણગીરીએ જણાવ્યું હતું. જીવદયાનાં કાર્ય અનુરૂપ આ ચકલીઓની સેવાથી મારો ધંધો સારો ચાલે છે. અને આ ચકલીઓનાં આશિર્વાદથી મારી અહિં પ્રગતિ થઇ છે. ભુજની માનવજ્યોત સંસ્થાનાં સહકારથી અહીં ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. જે ચકલીઓ માટે આશિર્વાદરૂપ બન્યા છે. અહીં ચકલીઓને રહેવા અતિ ઉત્તમ વ્યવસ્થા મળી છે. તેમજ તેમની ચણ-દાણા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી ચકલીઓ રાત-દિવસ રેસ્ટોરેન્ટમાં પોતાનાં માળામાં શાંતિથી રહે છે.