માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા નખત્રાણા તાલુકાનાં મોટી વિરાણી ગામે શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળા મધ્યે ત્રણે ગ્રુપ શાળાઓનાં વિદ્યાર્થી ભાઇ-બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં કુંડા-ચકલીઘર તથા કાપડ થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જયારે અતિથિવિશેષ પદ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ સોમજિયાણી, સરપંચ ગોવિંદભાઇ બળિયા, ગોરધનભાઇ રૂડાણી, તરૂણભાઇ રાજદે, છગનભાઇ ઠક્કર, સ્વરૂપસિંહ સોઢા, પ્રેમજીભાઇ તથા આગેવાનોએ શોભાવ્યું હતું.
પ્રારંભે ઉપસ્થિત મહેમાનોનાં વરદ્ હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવેલ. પ્રારંભે શાળાનાં આચાર્ય શ્રી સતુભા જાડેજાએ મહેમાનોને મીઠડો આવકાર આપેલ.
માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી 49 વિવિધ પ્રવૃત્તિઓ માનવસેવા-જીવદયા-પર્યાવરણ અને વ્યસન મુક્તિ કાર્યોની માહિતી આપી હતી. તેમજ કુંડા અને ચકલીઘર દરેક ઘરે વસાવી જીવદયાનાં કાર્યમાં સૌને જોડાવા અપીલ કરી હતી.
શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પૂર્વજનોએ કરેલા સત્કાર્યોને યાદ કરી જીવદયાનાં આ કાર્યને વેગ આપવા સૌને ચકલીઓ માટે ચણ-પાણી રહેઠાણની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.
અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતાં અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કાળઝાળ ગરમીમાં કુંડામાં પાણી ભરી રાખો. ચકલીઘર મૂકશો તો ચકલીઓ માળો બાંધશે. જીવદયાની આ પ્રવૃત્તિથી સૌને આશિર્વાદ મળશે.
પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ સોમજિયાણીએ માનવજ્યોતની કચ્છમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને માનવસેવા-જીવદયાનાં કાર્યમાં સૌને જોડાવવા જણાવ્યું હતું.
ઉપસ્થિત સૌને માનવજ્યોત દ્વારા કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ બળિયાએ જયારે આભારદર્શન ભાવેશ પાટીલે કરેલ. વ્યવસ્થામાં કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની તથા ત્રણે શાળાઓનાં શિક્ષકગણે સહકાર આપ્યો હતો.