ઉત્તરપ્રદેશનાં મુથરા જીલ્લાનાં પંચાવર ગામનો ૫૩ વર્ષિય ટોનુખાન ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ભારતનાં અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તે રેલ્વે મારફતે કચ્છ પહોંચ્યો હતો. શરૂઆતમાં કોડાયપુલ ચાર રસ્તા ઉપર આશ્રય લીધો હતો. અહીં તેને ખાવા-પીવાનું મળી રહેતું. ત્યાર બાદ તે ભુજ પહોંચ્યો હતો. તેનો ડાબો હાથ અડધો છે. ભુજ હિલગાર્ડનથી રઘુવંશીનગર ચોકડી પાસે દેખાતાં જાગૃત નાગરિકોએ માનવજ્યોતને જાણ કરી હતી.
સંસ્થાના પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઇરફાન લાખાએ તેને વાહન દ્વારા માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવેલ. અહીં તે માત્ર ૧૫ દિવસનો મહેમાન બન્યો હતો. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મથુરા પોલીસનો સંપર્ક કરી તેનાં પરિવારજનોને શોધી કાઢ્યા. ટોનુખાનનો દીકરો સલમાનખાન, તેની બેન સીતારામબેન, જમાઇ ઇમરાન તુરત ભુજ આવી પહોંચ્યા હતા. બાપ-દિકરા અને ભાઇ-બહેનનું ૪ વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કચ્છમાં રસ્તે રઝળતો અને માર્ગોમાં પડ્યો પાથર્યો રહેતો ટોનુખાન આખરે ૪ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રીતુબેન વર્મા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી સહભાગી બન્યા હતા.