માનવજ્યોત દ્વારા લગ્નપ્રસંગે, શુભ પ્રસંગે, ધાર્મિક પ્રસંગે કે પ્રસંગોપાત વધી પડેલી રસોઈ જુદી-જુદી સમાજવાડીઓ, પાર્ટી પ્લોટ સ્થળેથી એકઠી કરી ગરીબોનાં ઝુંપડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દરરોજ બપોરે લગ્નવાડીઓમાંથી રસોઈ વધી પડયાનાં ફોન આવતા રહે છે. સંસ્થાનું વાહન વાસણો લઇ સમાજવાડી, પાર્ટી પ્લોટ સુધી પહોંચી જાય છે.
ગરમા ગરમ વધી પડેલી રસોઈ લઈ આવે છે. આ રસોઈ ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ગરીબોને, કાચા મકાનોમાં રહેતા જરૂરમંદો અને શ્રમજીવીકો સુધી પહોંચાડવામાં આવે છે. આમ અનેક ગરીબોનાં જઠારાગ્નિ ઠરે છે. પેટનો ખાડો પૂરાય છે. ભૂખ્યાને ભોજન પહોંચે છે… અન્નનો થતો બગાડ અટકે છે. દર વર્ષે આ વધી પડેલી રસોઈમાંથી અઢી લાખ લોકો ભરપેટ જમે છે. ગરીબો આ ભોજન જમી અંતરના આશિર્વાદ પાઠવતા રહે છે.
હાલે લગ્નોની સીઝન પૂરબહાર ખીલી ઉઠી છે. દરરોજ એક હજારથી વધુ લોકો જમી જાય એટલી રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરવામાં આવે છે.
ભુજથી ૨૦ કિલોમીટરનાં અંતર સુધી સંસ્થાનું વાહન રસોઈ લેવા સમાજવાડીઓમાં સુધી પહોંચી જાય છે. સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી આવી વધી પડેલી રસોઇ સંસ્થાનાં ભુજ કાર્યાલયે મધ્યે પણ સ્વીકારવામાં આવે છે.
રાત્રે ૮ વાગ્યા પછી રસોઈ લેવા ગામડાઓ સુધી પહોંચી શકાતું નથી. ભૂખ્યાને ભોજન આ પ્રવૃત્તિ ૨૦ વર્ષથી ચાલી રહી છે. પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ વિતરણ વ્યવસ્થા આનંદ રાયસોની, દિપેશ શાહ, સહેદવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, ગોવિંદભાઇ પાટીદાર, પરેશ માહેશ્ર્વરી, રફીક બાવા તથા સંસ્થાનાં કાર્યકરો સંભાળી રહ્યા છે.