માનસિક દિવ્યાંગ સ્વસ્થ બનતાં તેને ઘર સુધી પહોંચાડાયો માતા-પુત્રનું છ મહિને થયું મિલન

ગુજરાતનાં પાટણ નજીકનાં રામનગર ગામનો યુવાન વિષ્ણુભાઇ ઉમેદભાઇ લીંબાચીયા ઉ.વ. ૪૪ છ મહિનાં પહેલા ગુમ થતાં તેની માતા ચિંતાતુર બની હતી. અન્ય રાજ્યોમાંથી થઇ તે અચાનક ભુજ આવી ચડી આવ્યો હતો.

સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને જુનાં એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાં મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મોકલવામાં આવ્યો હતો. તેને ડો. મહેશભાઇ ટીલવાણીએ સારી સારવાર આપતાં તે સ્વસ્થ બન્યો હતો. તેની પાસેથી મળેલ માહિતિનાં આધારે તેનું ગામ અને ઘર માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા હતા. માનવજ્યોતની ટીમ પાટણનાં રામનગર ગામે પહોંચી જઇ યુવાનને તેની માતાને સુપ્રત કરતાં માતાની આંખોમાં હર્ષનાં આસું વહ્યા હતા.

માતાએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાંથી મારા ગુમ પુત્રની સતત શોધ ચલાવું છું. આજે મારો પુત્ર ઘરે આવી જતાં મને ખુશી થઇ છે. આખરે માતા-પુત્રનું છ મહિને મિલન થયું હતું.

માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, ગુલાબ મોતા, વાલજી કોલી, હારૂન બકાલી તથા માનવજ્યોતની ટીમ સહભાગી બની હતી.