પચ્ચીસ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં કર્યું ઘર તરફ પ્રયાણ વર્ષો પછી પરિવારજનો સાથે થશે ફેર મિલન

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા ચ્છ સ્થળેથી ૧૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૮ મળી એકી સાથે પચ્ચીસ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કરતાં તેઓને શુભેચ્છા પાઠવવા એક નાનો કાર્યક્રમ રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ જજ તથા ડીશનલ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા તથા લાખુભા જાડેજાએ અતિથિવિશેષપદ શોભાવ્યું હતું. 

પ્રારંભે ગીતાબેન ઝવેરીએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. સ્વાગત પ્રવચન તથા પ્રસંગ મહત્વ સમજાવતાં સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છમાં ચાલી રહેલી ૪૬ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. કોરોના કાળમાં પણ આ માનસિક દિવ્યાંગોની ખાસ કાળજી લેવામાં આવેલ. માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં ૯૬૦ માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડયા છે. ૩ વર્ષથી શરૂ થયેલા શ્રી રામદેવ સેવાશ્રમ સ્થળેથી ૪૦૦ માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે. આમાં શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો છે

પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સંસ્થાની પ્રવૃત્તિઓ કચ્છભરમાં પહોંચી છે. તેમજ સંસ્થા કોરોના કાળમાં જરૂરતમંદ લોકોની મદદે આવી છે. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાંથી નિવૃત્ત થયેલા ડો. મહેશભાઈ ટીલવાણીએ જણાવ્યું હતું કે, માનવજ્યોત હરહંમેશ માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજને મદદરૂપ બની છે. હું નોકરીથી રીટાયર્ડ થાઉં છું. કામથી નહીં.આ પ્રસંગે માનવજ્યોત દ્વારા ડો. મહેશભાઈ ટીલવાણીનું વિશિષ્ટ સન્માન કરી તેઓને નિવૃત્તિમાં પ્રવૃત્તિ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવશ્રી બી.એન.પટેલ સાહેબે જણાવ્યું હતું કે, આત્મસંતોષ એવો થાય છે કે, સંસ્થા યોગ્ય દિશામાં કામ કરી રહી છે. સૌભાગ્ય પ્રાપ્ત થવા માટે આપણે સૌભાગ્યવાન છીએ કે, સારા કામમાં આહુતિ આપવા આપણને ભેગા કર્યા છે. અમારા પેરાલીગલ વોલીન્ટરો રાત્રે પણ ઓનલાઈન હોય છે. જયાં જરૂર હોય ત્યાં મદદરૂપ બને છે. સમાજમાં પ્રેરણારૂપ કામથઇ રહ્યું છે. જેની ખુશી છે. સ્વસ્થ બની ઘરે જઈ રહેલા માનસિક દિવ્યાંગોને શુભેચ્છાઓ પાઠવી હતી. 

એકલો જાનેરે સંસ્થા દ્વારા શ્રી મગનભાઈ જી. ઠક્કરે ઘરે જઈ રહેલા દરેક માનસિક દિવ્યાંગોને નાળિયેર અર્પણ કરી ખડી સાકરથી મીઠું મોટું કરાવી શુભેચ્છા પાઠવી હતી. 

ડો. પ્રતિક્ષાબેન પવાર, જયાબેન મુનવર, ગીતાબેન ઝવેરી, કલ્પાબેન ચોથાણી, મીતાબેન ગોર, અનિતાબેન ઠાકુર, લીલાબેન ઠક્કર, શીતલબેન ઠક્કર, હાફિઝાબેન સમા, રાયમાબેને દરેક માનસિક દિવ્યાંગોને કુમકુમતિલક કરી, હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું તું. 

બિહાર-૧, વેસ્ટ બંગાલ-૬, તામિલનાડુ-૧, નેપાલ-૧, મધ્યપ્રદેશ-૨, ઓરિસ્સા-૨, ઉત્તર પ્રદેશ-૪, મહારાષ્ટ્ર-૨, કર્ણાટક –૧, આંધ્રપ્રદેશ-૩, ઝારખંડ-૧, આસામ-૧ મળી જુદા-જુદા ૧૧ રાજ્યોમાં પચ્ચીસ માનસિક દિવ્યાંગોને એમ્બ્યુલન્સો દ્વારા શ્રદ્ધા રીહાબિલીટેશન ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી શ્રદ્ધા ફાઉન્ડેશન તેઓને તેમનાં રાજ્ય-ગામ અને ઘર સુધી પહોંચતા કરશે

કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનવરે, જયારે આભારવિધિ શંભુભાઈ જોષીએ કરેલ. વ્યવસ્થામાં રફીક બાવા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, મુરજીભાઈ ઠક્કર, માવજીભાઈ આહિર, જેરામભાઈ સુતાર, નિતિન ઠક્કર, દિપેશ શાહ, પંકજ કુરવા, મહેશ ઠક્કર,દિલીપ લોડાયા, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો. 

માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ, બી,, ડિવિઝન પોલીસ સ્ટેશન-ભુજ, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર-ભુજ, ગુજરાત અદાણી ઇન્સ્ટૂ.મેડીકલ સાયન્સ જી.કે. જનરલ હોસ્પીટલે માનવતાનાં આ કાર્યમાં સહકાર આપ્યો હતો.