પશ્ચિમ બંગાળનાં કુટીર પારા વિસ્તારનાં વૃદ્ધ બિરેન સરદાર ઉ.વ. ૭૦ પોતાની દીકરીનાં ઘરે જવા નાંદીયાથી બર્ધમાન જવા નીકળ્યા હતા. પણ રખડતી-ભટકતી હાલતમાં તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યા અને ત્યાંથી પગે ચાલી નાગોર વાડી વિસ્તાર સુધી પહોંચ્યા. જ્યાં તરસ અને ભૂખનાં કારણે ધીરજ ખૂટી. અને વાડી વિસ્તારમાં બેઠા રહ્યા. અહીં તેની ખૂબ મુશ્કેલી વધી. કોઇ પૂછા કરશે કે નહીં કે જીવ નીકળી જાશે તેવી પરિસ્થિતિમાં ધકેલાઇ ગયા. ત્યાંથી પસાર થતાં વિશ્રામભાઇ કારા ભીલની નજરે આ વૃદ્ધ ચડ્યા. તેમણે માનવજ્યોત સંસ્થાનાં વાલજી કોલીને જાણ કરતાં જ આ વૃદ્ધ વડીલને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લાવી તેની સારવાર શરૂ કરવામાં આવી. પાણી, ભોજન આપવામાં આવ્યું. ઘર ભૂલેલા આ વૃદ્ધ થોડીકવારમાં સ્વસ્થ બનતાં જ તે ઘર ભૂલ્યા હોવાનું અને બે મહિનાથી રખડતા-ભટકતા રહ્યા હોવાનું જણાવ્યું હતું. પણ હવે ઘર અને પરિવાર મળતા નથી તેવું જણાવતાં જ સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા. તેમનાં પરિવારના જણાવ્યા મુજબ બે મહિનાથી પરિવારજનો રાત-દિવસ એક કરી તેમની શોધ ચલાવી રહ્યા હતા. આખરે પશ્ચિમ બંગાળથી તેમનાં પરિવારજનો બાપા સરદાર-સોમિત સરદાર ભુજ આવી વડીલનો કબજો લઇ ખુશી વ્યક્ત કરી સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, જયેશ લોડાયા, રફીક બાવાએ સહકાર આપ્યો હતો. સામાજીક કાર્યકર ગણપત ડુમાડીયા, સંજય ડામોર, અમનકુમાર સોઢાએ કાઉન્સલીંગ કર્યું હતું.