તામિલનાડુનો યુવાન લોકનાથમ્ લાંબા સમયથી ઘર અને પરિવારથી દૂર હતો. ઘર છોડ્યા પછી તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. જ્યાંથી તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિતિ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.
સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તામિલનાડુ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા. પણ પરિવારજનો સાથેનાં મતભેદથી પરિવારે તેને સ્વીકારવાની ના પાડી. જેથી ત્યાંના કલેકટર, એસ.પી.નો સંપર્ક કરી તેનાં પુર્નવસનની વાત કરી. કલેકટર, એસ.પી.નાં માર્ગદર્શનથી તામિલનાડુનાં ઇરોડ શહેરની પુર્નવસન કરતી સંસ્થા અત્ચાર્યમ ટ્રસ્ટનો સંપર્ક કરી તેની સમગ્ર બાબતો જણાવવામાં આવી. સંસ્થાએ તેનાં સમાધાન અને પુર્નવસનની તૈયારી બતાવી. અત્ચાર્યમ સંસ્થાનાં સામાજિક કાર્યકરો આર.શક્તિ અને કે.વિગ્નેશ તામિલનાડુથી ભુજ આવી પહોંચ્યા હતા. અને યુવાન લોકનાથમ્ નો કબ્જો લીધો હતો.
આખરે લોકનાથમ્ બે વર્ષ પછી પોતાનાં રાજ્ય અને પોતાની ભાષા બોલતા લોકો અને સંસ્થા સુધી પહોંચ્યો હતો.
માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરુવા, રસીક જોગી, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં ભુજમાં માનવજ્યોતમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી રહેલા છાત્રો ચેતન કુકડિયા, રવિ વનાણી, નીરૂભાઇ મેર સહભાગી બન્યા હતા.