ગુમ થયેલા અઢી હજાર લોકોને સંસ્થાએ ઘર પરિવાર શોધી આપ્યા

માનવજયોત સંસ્થા ભુજ દ્વારા ગુમ થઈ ગયેલા લોકોને શોધી આપી ઘર સુધી પહોંચતા કરી પરિવાર સાથે મિલન કરાવાય છે. વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિથી અત્યાર સુધી ૨૫૫૧ લોકોને ઘર શોપી અપાયું છે. પરિવારજનો જે ગુમ થયેલી વ્યક્તિઓની ચિંતા સેવી રહ્યા હતા તે મળી આવતાં પરિવારજનોની ખુશી બેવડાઈ હતી. અને પરિવારમાં આનંદ-ખુશી છવાઈ હતી.

પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ ગુમ થયેલા ૧૬૨૯ માનસિક દિવ્યાંગો, ૪૭૦ મહિલાઓ-યુવતીઓ, ૨૧૫ બાળકો, ૨૪0 વૃદ્ધ વડીલો મળી ૨૫૪૯ લોકોને માનવજયોત સંસ્થાએ શોધી કાઢ્યા હતા. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા-પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને શોધી શોધીને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવે છે. જરૂરતમંદ દર્દીઓને ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલ મધ્યેથી સારવાર આપવામાં આવે છે. આશ્રમ મધ્યે કાઉન્સલીંગ તથા ગુમસુદા વ્યક્તિઓના ઘર શોધવાનું કાર્ય સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સંભાળે છે. માનવતાનાં આ કાર્યમાં ગુમ વ્યક્તિનાં પરિવાર શોધવામાં દરેક રાજ્યની પોલીસ સંસ્થાને ખૂબ જ મદદરૂપ બને છે. જેથી આવી ગુમ વ્યક્તિઓ પાંચથી પચીસ વર્ષ પછી પોતાનાં ઘર અને પરિવાર સુધી પહોંચે છે. પરિવારજનો પોતાની વ્યક્તિને તેડવા દૂર-દૂરથી ભુજ સુધી આવી પહોંચે છે. પોતાની વ્યક્તિનો કબ્જો લઈ ખુશી અનુભવે છે. પરિવારજનો સાથે વર્ષો પછી થતાં મિલન સમયે સૌની આંખો અશ્રુભીની બની જાય છે.

ભૂલથી કચ્છમાં આવી જતા ગુમ લોકો તથા રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગોને માનવજયોત સંસ્થા શોધી કાઢે છે. જેથી અનેક પરિવારોમાં આનંદ ઉલ્લાસ સાથે ખુશી છવાઈ જાય છે. પાલારા-કચ્છ મધ્યે આવેલા શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે માનસિક દિવ્યાંગોની ત્રણ ટાઈમ ભોજન સાથે દરેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. મહાવીર-કબીર-સાંઈ સત્સંગ મંડળ-ભુજ, જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ :દાદર તથા દાતાશ્રી પરિવારો માનવસેવાનાં આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. જેનું અહીં કોઇ નથી એકલા-અટુલા-નિરાધાર છે, જેનું અહીં કોઈ સગું-સાવકું નથી તેવા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા સારવાર આપી ઘર-પરિવાર શોધી આપે છે. આમ અત્યાર સુધીમાં અઢી હજાર લોકો ઘરે પહોંચ્યા છે.

માનવતાનાં આ કાર્યમાં રમેશભાઈ માહેશ્વરી, આનંદ રાયસોની, રફીક બાવા,દિપેશ શાહ, શંભુભાઈ જોપી, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, કરશન ભાનુશાલી, મુરજીભાઈ ઠક્કર, ગોવિંદભાઈ પાટીદાર, પ્રવિણ ભદ્રા, નરશીભાઈ પટેલ, ભુપેન્દ્ર બાબરીયા સહભાગી બન્યા હતા.