ભાવનગરનાં હાડિયાવાડ વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષિય મુસ્લિમ યુવાન સલીમ ઇકબાલ ઘાંચી પાંચ વર્ષ પહેલાં ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી શોધખોળ ચાલુ રાખી હતી.
અનેક રાજ્યોમાંથી થઇ તે ટ્રેન મારફતે અચાનક ભુજ સુધી પહોંચ્યો હતો. એક મહિનાં પહેલાં સીનીયર પેરાલીગલ વોલીટીયર્સનાં શ્રી પ્રબોધ મુનવર તથા માનવજ્યોતના રફીક બાવાને ભુજ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખવામાં આવેલ. જયાં મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણીની સારી સારવારથી તે સ્વસ્થ બન્યો હતો.
તેની પાસેથી માહિતી મેળવી માનવજ્યોતની ટીમ ભાવનગર તેનાં ઘર સુધી પહોંચી હતી. તેને સાથે રાખી ભાવનગરમાં તેનું ઘર શોધી કઢાયું હતું. તેનાં ઘરે પહોંચતાં જ પરિવારજનો ખુશીમાં આવી નાચી-ઝુમી ઉઠયા હતા. પરિવારજનો તેને જાતાં જ ગદ્ગદિત થઇને તેને ભેટી પડયા ત્યારે લાગણી ભીના દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખોમાં હર્ષનાં આંસુ વહ્યા હતા.
માનવતાનાં આ કાર્યમાં માનવજ્યોતનાં ગુલાબ મોતા, વાલજી કોલી, મહેશભાઇ ઠક્કર તથા હારૂન બકાલી સહભાગી બન્યા હતા.