માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને 7 દિવસ પહેલા વર્ધમાનનગર-માધાપર માર્ગેથી એક યુવાન મળી આવેલો. મેલા-ગંદા કપડા પહેરેલા યુવાનને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવેલ. 30 વર્ષિય આ યુવાને પોતાનું નામ ડો. ગીરીસલ્માન જણાવ્યું હતું.
દોઢ વર્ષથી સ્નાન નકરેલા અને મેલા-ગંદા કપડા પહેરલા યુવાનને સ્નાન કરાવી તેનાં બાલ-દાઢી કરાવી કપડા બદલી કરવામાં આવ્યા. તેને ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર કરાવવામાં આવી.
આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી સોનભદ્ર વિસ્તારનાં અનપારામાં તેનું ઘર અને પરિવાર શોધી કઢાયા. તેનો ભાઇ છેદીગીરી તેને તેડવા ભુજ આવી પહોંચ્યો. બંને ભાઇઓનું દોઢ વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આખરે આ યુવાન પોતાનાં ઘર અને પરિવાર સુધી પહોંચ્યો છે.
માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં ભુજમાં માનવજ્યોતમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી રહેલા છાત્રો ચેતન કુકડિયા, રવિ વનાણી, નીરૂભાઇ મેર સહભાગી બન્યા હતા.