મધ્યપ્રદેશની મહિલા તથા યુવાન ૩ વર્ષે ઘરે પહોંચ્યા તેને તેડવા આખો પરિવાર ભુજ પહોંચ્યો

મધ્યપ્રદેશનાં ખરગોન જીલ્લાની મહિલા રાનીયા ઉ.વ. ૩૨ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી, શોધખોળ ચાલુ રાખી હતી. તે નમળતાં પરિવાર દુઃખી અને નિરાશ થયો હતો.

આખરે તે રખડતી-ભટકતી હાલતમાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટને મળી આવી હતી. સંસ્થાનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને પાલારા કચ્છનાં શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે આશ્રમ આપવામાં આવ્યો. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા. સમાચાર મળતાં જ પરિવારની પાંચ વ્યક્તિઓ તેને તેડવા પોતાનાં વાહન દ્વારા ભુજ આવી પહોંચ્યા. પિતા-પુત્રીનાં મિલન વખતે સૌની આંખો અશ્રુભીની બની ગઈ. વ્હાલસોયી દીકરીનો કબ્જો લઈ પિતા અને આખા પરિવારે ખુશી વ્યક્ત કરી માનવજયોત સંસ્થાનો આભાર માન્યો હતો.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.

સોમનાથનાં “નિરાધારનો આધાર,, આશ્રમમાંથી લઇ આવવામાં આવેલ યુવાન કેરારામ ઉ.વ. ૨૮ ને પણ આ પરિવાર સાથે મધ્યપ્રદેશનાં તેનાં પરિવાર અને ઘર સુધી મોકલવામાં આવેલ. આમ મધ્યપ્રદેશનાં ૩ વર્ષથી ગુમ મહિલા અને યુવાનનું ઘર શોધવવામાં ભુજની માનવજ્યોત સંસ્થાને સફળતા મળી હતી.