નલીયામાંથી મળેલો આસામનો યુવાન પાંચ વર્ષે ઘરે પહોંચ્યો

આસામનો ઇકરામુલ જાનઅલી ઉ.વ. ૨૪ છેલ્લા પાંચ વર્ષથી ગુમ હતો. ૬ ભાઇ બે બહેનો અને માતા-પિતા સાથે રહી “ચા’’ ના બગીચામાં મજુરી કામ કરતો આ યુવાન અચાનક ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તે અન્ય રાજ્યોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. તે અન્ય રાજ્યોમાંથી થઇ ભુજથી પગે ચાલી નલીયા સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગ વોલીન્ટીયર અને માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરને નલીયા બસ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે રાખવામાં આવ્યો. ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી સ્વસ્થ બન્યો હતો.

માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા ગુલાબ મોતાએ આસામ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢતાં પરિવારજનો તેને લેવા માટે આસામથી ભુજ સુધી આવી પહોંચ્યા હતા. અને તેનો કબ્જા લઇ ખુશી અનુભવી સંસ્થાનાં કાર્યને બિરદાવ્યું હતું.

માનવતા આ કાર્યમાં રફીક બાવા, વાલજી કોલી, પ્રતાપ ઠક્કર, સાગર લાલકાએ સહકાર આપ્યો હતો.