કર્ણાટક રાજ્યનાં બેંગ્લોર વિસ્તારનો યુવાન પ્રશાંત ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્યા હતા.
આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને સર્વે ટ્રસ્ટીગણ તથા કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી હતી.
માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સૂરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી કર્ણાટક પોલીસની મદદ લઇ તેનું ઘર-પરિવાર શોધી કાઢતાં, સમાચાર મળતાં જ તેની માતા તથા તેનો ભાઇ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માતા પુત્ર અને ભાઇ-ભાઇનું 3 વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રસ્યો સર્જાયા હતા. સૌની આંખો અશ્રુભીની બની હતી.
પોતાની માતા સાથે અંગ્રેજીમાં વાત કરતો આ યુવાન શિક્ષિત અને ગ્રેજ્યુએટ છે. આખરે તેનું પરિવાર સાથે 3 વર્ષ પછી મિલન થયું હતું.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી, નરેન્દ્ર પાનપરીયા સહભાગી બન્યા હતા.