બિહારનાં નવાદા કોચર્ગાંવનાં વારિસલીગંજની યુવાન મહિલા ઉ.વ. 41 ગુમ થતાં પરિવારો બેચેન બન્યા હતા. અને તેની સતત શોધખોળ ચલાવી હતી.
3 દીકરા અને 1 દીકરી ધરાવતી માતાએ ઘર છોડતાં પતિદેવ ઉપર મોટી જવાબદારી આવી પડી હતી. બાળકો પણ માતાની સતત રાહ જોઇ બેઠા હતા.
ગુમ મહિલા રખડતી-ભટકતી આખરે ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચી હતી. ત્યાનાં સંચાલકોએ તેની ખૂબ સારી સારવાર કરી.
માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે તેડી આવ્યા. મહિલા એદમ બિમાર હતી. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા સ્થળે રાખી ઓધવ સર્જીકલ હોસ્પીટલ ભુજનાં સેવાભાવી ડો. રાજેશભાઇ ગોરીએ દર્દીને નિઃશુલ્ક સારવાર આપી તેનો જીવ બચાવ્યો હતો. ભુજની ભગત લેબોરેટરીએ સેવા કાર્યમાં બ્લડ આપી મહિલાને મદદરુપ બન્યા હતા. બિહાર પોલીસની મદદથી તેનાં ઘર પરિવાર શોધી કઢાયા હતા. દીયેર-દેરાણી, જેઠ-જેઠાણી તથા તેનાં પતિ અને બાળકો સાથેનાં પરિવારનાં છ સભ્યો તેનો કબ્જો લેવા ભુજ આવી પહોંચ્યા.
ત્રણ-ત્રણ વર્ષે થયેલા મિલન સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખો અશ્રુભીની બની હતી. ગુમ મહિલાને પરિવારજનો ભારે રુદન સાથે ભેટી પડ્યા હતા. સૌએ મહિલા હેમખેમ મળી આવેલ હોવાથી ખુશી વ્યક્ત કરી સંસ્થાનાં કાર્યને બિરદાવ્યું હતું.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, દીપેશ ભાટીયા, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, દામજીભાઇ મૈશેરી સહભાગી બન્યા હતા.