જન સેવા કરીએ તો જ પ્રભુ સેવા કરી કહેવાય ૨૬ દિવ્યાંગોએ સ્વસ્થ બની ઘર તરફ કર્યું પ્રયાણ

કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેને સારી સારવાર આપી તેનું રાજ્ય, શહેર, ગામ શોધી આપી તેમને ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે વર્ષો પછી પરિવારજનો સાથે તેમનું મિલન થતું હોય છે. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ, મહારાષ્ટ્રનાં કર્જતની શ્રદ્ધા રીબીલીટીસન ફાઉન્ડેશન સંસ્થા તથા ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનો પણ સિંહ ફાળો રહ્યો છે.

કચ્છનાં જુદા-જુદા ગામો અને શહેરોમાંથી રસ્તે રઝળતા મળેલા માનસિક દિવ્યાંગો જેમાં માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૨ અને ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલેથી ૧૪ મળી કુલ્લે ૨૬ માનસિક દિવ્યાંગોએ સ્વસ્થ બની પોતાનાં ઘર તરફ પ્રયાણ કર્યું હતું. અહીંથી તેઓને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મધ્યે મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી શ્રદ્ધા ફાઉન્ડેશન તેઓને ઘર સુધી પહોંચતા કરશે. આવા ગુમ થયેલા માનસિક દિવ્યાંગો પાછળ કાંઇકને કાંઇક કારણ છૂપાયેલું હોય છે. જે એક સ્ટોરી રૂપે બહાર આવે છે.

ઘરે જઇ રહેલ ૨૬ માનસિક દિવ્યાંગોને શુભેચ્છાઓ પાઠવતો એક કાર્યક્રમ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે યોજાયો હતો. કાર્યક્રમમાં ભુજ આર્ષ અધ્યયન કેન્દ્રના શ્રી સ્વામિ પ્રદિપ્તાનંદ સરસ્વતી, મુખ્ય અતિથિ પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ શ્રી આઇ.ડી.પટેલસાહેબ, અતિથિવિશેષ પદે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ અને સિનિયર સિવિલ તથા એડિશનલ ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબ, સિવિલ સર્જન શ્રી કશ્યપભાઇ બુચ, પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી ડી.એમ. ગોયેલસાહેબ રહ્યા હતા.પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવરે સંસ્થાની વિવિધ ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંસ્થાએ છેલ્લા અઢી વર્ષમાં કચ્છમાંથી રસ્તે રઝળતા ૩૦૦ માનસિક દિવ્યાંગોને તેમનાં ઘર સુધી પહોંચાડી દીધા છે. ૧૬ વર્ષમાં ૮૭૦ માનસિક દિવ્યાંગેને ઘરે પહોંચતા કર્યા છે.

આ પ્રસંગે આશિર્વચન પાઠવતા ભુજ આર્ષ અધ્યયન કેન્દ્રના શ્રી સ્વામિ પ્રદિપ્તાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, લોકોને ઠીક કરીને ઘર ભેગા કરવાનું કામ તમે લોકો કરો છો. જે વ્હવહારિક રીતે અસ્વસ્થ છે એવા લોકોને ઘરે મોકલો છો. એ કાર્ય વંદનીય છે. સંસ્થાનાં પ્રયત્નોનાં કારણે ભગવાન સફળતા અપાવે છે. આવા લોકો ભગવાનનાં ભરોસે હોય છે. આ ભગવત સપ્તાનું પ્રમાણ છે.

આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.પટેલ સાહેબે જણાવ્યું હતું કે, કાનૂની સેવામાં પણ સેવા આવે છે. કાનૂનમાં જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરીએ છીએ. કાનૂનથી કોઇનું સંધાઇ જતું હોય છે. સુપ્રિમ કોર્ટથી તાલુકા સુધી કરવામાં આવેલા માળખાને લોકો સુધી પહોંચાડી સલાહ સૂચનો સાથે સેવાનું કામ કરીએ છીએ. સિવિલ જજશ્રીનું માર્ગદર્શન લઇ કાનૂની સેવા લોકો સુધી પહોંચાડીએ છીએ. કાનૂન દરેક લોકો માટે છે. સર્વેને સમાન ન્યાય કાનૂન દ્વારા મળે છે. જેમાં દરેક લોકો આવે છે.

કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ શ્રી આઇ.ડી.પટેલ સાહેબે જણાવ્યું હતું કે, માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય, ભૂખ્યાને ભોજન, બીજી જે સેવાઓ છે એ કાર્ય પ્રસંશનીય છે. જનસેવા કરીએ તો જ પ્રભુસેવા કરી કહેવાય. પેરાલીગલ વોલીન્ટીયરો અને કાર્યકરોની સેવાઓને બિરદાવી હતી.

ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોને કુમકુમતિલક કરી, હાર પહેરાવી અક્ષતે વધાવી, મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં હતી. ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. બે માનસિક દિવ્યાંગોએ ગીતા રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભુજના વિવિધ મહિલા મંડળો તથા સેવાભાવી ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત  રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ ડી.વાય.એસ.પી. શ્રી ડી.એલ.સોલંકી, પૂર્વ પો.ઇ. શ્રી કે.આર.જાડેજા, સમરથસિંહ સોઢા, વસંતભાઇ અજાણી, માવજીભાઇ આહિર, શર્મીલાબેન પટેલ, કલ્પનાબેન ઠક્કર, મીતાબેન ગોર, ભક્તિબેન, જયાબેન મુનવર, પ્રતિક્ષા પવાર વિ. ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરેલ. વ્યવસ્થામાં ગુલાબ મોતા, રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, મુરજીભાઇ ઠક્કર,  નિતિનભાઇ ઠક્કર,જેરામભાઇ સુતાર, કનૈયાલાલ અબોટી, નરશીંભાઇ પટેલ વિ. એ સહકાર આપ્યો હતો.