સતિષ ૧૦ વર્ષે ઘરે પહોંચ્યો ૧૦ વર્ષિય બાળકને ૮ વર્ષે પિતા મળ્યા

બિહાર રાજ્યના ખગડીયા જિલ્લાનાં અમૌસી ગામનો ૩૪ વર્ષિય સતિષ આખરે ૧૦ વર્ષે પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સીનીયર પેરાલીગલ વોલન્ટીયર શ્રી પ્રબોધ મુનવરને તે નખત્રાણા શહેરમાંથી ૯ મહિના પહેલાં મળ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળે લઈ આવી તેની સારવાર શરૂ કરાવી હતી. ડો. મહેશભાઈ ટીલવાણીની સારવારથી તે જલ્દી સ્વસ્થ બન્યો હતો. સંસ્થાનાં સામાજિક કાર્યકર દીનાનાથજીએ તેની પાસેથી માહિતી મેળવી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા. 

તે દિપાવલી પર્વ તેનાં પરિવારજનો સાથે મનાવે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થાએ તેને સંસ્થાનાં સામાજિક કાર્યકર દીનાનાથજી સાથે તેના ઘર સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. તેને શ્રી રામદેવ સેવાશ્રમસ્થળેથી શુભેચ્છા પાઠવવામાં આવી અને તેણે ઘર તરફ પ્રયાણ કર્યું હતું. બિહારનાં ખગડીયાથી તેનાં ઘરનું અંતર ૨૦ કિલોમીટર હતું. વચ્ચે ૩ નદી પાર કરવી પડે. હોડકામાં બેસી ત્રણે નદીઓ પાર કરી ૧૦ કિલોમીટરનું અંતર કાપી ત્યાર બાદ ૧૦ કિલોમીટર પગે ચાલી માનવજ્યોતની ટીમ તેના ઘર સુધી પહોંચી હતી. મધ્ય રાત્રિએ અંધારૂ છવાઈ ગયું હોવા છતાં અમૌસી ગામવાસીઓ ૧૦ વરસ પછી ઘરે આવી રહેલા સતિષ ને આવકારવા વિશાળ સંખ્યામાં હાજર હતા. મધ્ય રાત્રિએ સતિષ ઘરે પહોંચતા પરિવારમાં ખુશી અને આનંદ… ઉલ્લાસ જોવા મળ્યો હતો. પરિવારજનો તેને ભેટી પડ્યા ત્યારે સૌની આંખો આંસુથી ભિંજાઈ ગઈ હતી. પરિવારજનોનાં જણાવ્યા મુજબ માનસિક તકલીફ ઉભી થતાં તેણે ૧૦ વર્ષ પહેલા ઘછોડ્યું હતું. પુત્ર બે વર્ષનો હતો ત્યારે માતાએ પણ ઘર છોડી દીધું હતું. સતિષ ઘરે પહોંચ્યો ત્યારે તેનો પુત્ર ૧૦ વર્ષનો થઈ ચૂક્યો હતો. પરિવારજનોએ સતિષને હર્ષભેર વધાવ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજનો આભાર માન્યો હતો. પિતા-પુત્રનું મિલન થયા પછી માતા પણ આઠ વર્ષ પછી ઘરે પાછા ફરવાની ઈચ્છા દર્શાવી હતી. આમ સતિષ ઘરે પહોંચતાં જ છૂટો પડી ગયેલો પરિવાર ફરી એક બની બેઠો થયો હતો. 

માનવસેવાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીકબાવા,દીનાનાથજી, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કરવા, દિલીપ લોડાયા, મહેશભાઇ ઠક્કર, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.