બિદડાનાં વાડી વિસ્તાર નર્મદા કેનાલ પાસેથી મળી આવેલ નિવૃત્ત ઇન્ડીયન આર્મી મેનને ઘર શોઘી અપાયું

રાજસ્થાનનાં જયપુર શહેરનાં ગોપીરામ રાઠોડ ઉ.વ. ૫૪ ગુમળતાં શિક્ષીત પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. પરિવારજનો તેને શોધવા નીકળી પડ્યા. માત્ર અંગ્રેજી અને હિન્દી બોલતા ગોપીરામ કચ્છનાં બિદડા ગામનાં વાડી વિસ્તારની નર્મદા કેનાલ પાસેથી મોટા ભાડિયાનાં કલ્યાણભાઇ ગઢવી તથા સજણભાઇ ગઢવીને મળી આવતાં તેમણે નાના માડિયાનાં દેવાંગભાઇ ગઢવી મારફતે સંદેશો માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડ્યો હતો. અને ત્રણે સમાજસેવીઓએ પોતાનાં વાહન મારફતે ગોપીરામજીને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડેલ. મળી આવેલા ગોપીરામજીનાં જણાવ્યા મુજબ તે નિવૃત્ત મિલેટ્રીમેન છે. તેમને સારવારની જરૂરત જણાતાં માનવજ્યોતે તેમને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજમાં એડમીટ કરાવી સારવાર શરૂ કરાવી હતી.

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ગોપીરામજી પાસેથી મળેલ માહિતીનાં આધારે રાજસ્થાન પોલીસની મદદ લઇ તેનાં પરિવારને શોધી કાઢ્યો હતો. શિક્ષીત પરિવારનાં તેનાં પુત્ર સંદીપભાઇ રાઠોડ તથા જમાઇ મહેશ પવાર તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. તેમનાં જણાવ્યા મુજબ પિતા ગોપીરામ રાઠોડ ઇન્ડીયન આર્મીમાં સિંકદરાબાદમાં ઘણા વર્ષો સુધી રહીને નિવૃત થયા હતા. પત્નીનું અવસાન થતાં આઘાતમાં તેમણે માનસિક સમતુલા ગુમાવી હતી. અને ઘરેથી નીકળી ગયા હતા. ભારતીય મિલેટ્રીનાં આ નિવૃત્ત જવાન ભાડીયાનાં જાગૃત યુવાનો અને માનવજ્યોતનાં સફળ પ્રયત્નોથી ઘર સુધી પહોંચ્યા છે. પિતા-પુત્રનું મિલન થતાં એકબીજાને ભેટી પડ્યા હતા. પુત્ર સંદિપસિંહ રાઠોડ આઇ.બી.ની પરીક્ષા આપી તુરંત જ પિતાને તેડવા ટ્રેન મારફતે ભુજ પહોંચ્યો હતો.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી તથા સામાજીક કાર્યકરો મનીષા સોલંકી, ધર્મિષ્ઠા સોલંકી, વંદના સોલંકી, મિતલ પરમાર સહભાગી બન્યા હતા.