પ્રવૃત્તિઓ, સમાચાર / ઘટનાઓ
માનસિક દિવ્યાંગ દર્દીઓનાં કાંડે રક્ષા બાંધી રક્ષાબંધન પર્વની કરાઇ અનોખી ઉજવણી
ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષા બાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો આવી પહોંચી હતી.
કાર્યક્રમનું અતિથિવિશેષ પદ રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, નરશીભાઇ પટેલ, દિપકભાઇ જાનીએ શોભાવ્યું હતું.
કાર્યક્રમનાં માર્ગદર્શક અને સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે કોમી એકતા અને ભાઇચારાનો સંદેશો આપતા રક્ષાબંધન પર્વનું પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું.
હાથમાં દિપકની જ્યોત, ચોખા, કુમકુમતિલક, મીઠાઇ સાથેનો પૂજા થાળ લઇ એકી સાથે માનસિક દિવ્યાંગદર્દીઓને નવલબેન શાહ, હાફિઝાબેન સમા, હેતલબેન સિંઘ, રહિમાબેન સમા, આરતીબેન જોષી, સહિમાબેન બાયડે કુમકુમતિલક કરી, ચોખા ચોડી, આરતી ઉતારી તેઓનાં હાથનાં કાંડે રક્ષાબાંધી, મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. માનસિક દિવ્યાંગદર્દીઓને પણ પોતાની બહેનોની યાદ આવી હતી. અને તેઓની આંખો આંસુથી ભીજાઇ ગઇ હતી. માનસિક દિવ્યાંગ દર્દીઓને પરિવાર, ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદેશ સાથે આ કાર્યક્રમયોજાયો હતો. માનસિક દિવ્યાંગ ભાઇઓના કાંડે માનસિક દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાધી હતી.
રક્ષાબેન રજનીકાંત કેરાઇ-માધાપર, મનોજ તથા રાજેશ પ્રવિણચંદ્ર ઠક્કર-ભુજ, સ્વ. પ્રવિણભાઇ પરમાર-ભુજ, શ્રી તરંગ વિશાલ લાલકા-આદિપુર તરફથી માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ.
આ પ્રસંગે મુસ્લિમસમાજની બહેનોએ જણાવ્યું હતું કે, અમે રક્ષાબંધન તહેવારની આતુરતાથી રાહ જોતા હતા. રક્ષાબંધનને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનીએ છીએ. હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ એક સમાન છે. રક્ષાબંધન તહેવાર કોમી એકતાનું પ્રતિક છે. આપણે બધા એક છીએ. સર્વ ધર્મ સમાન છે.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કરેલ. જયારે આભારવિધિ શંભુભાઇ જોશીએ કરેલ. વ્યવસ્થામાં રફીક બાવા, મુળજીભાઇ ઠક્કર, દિપેશ શાહ, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, મહેશભાઇ ઠક્કર, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.

