ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને રાજભવન ગાંધીનગર મધ્યે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીજીનાં વરદ્ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ,, અર્પણ કરવામાં આવ્યો હતો. કચ્છ જીલ્લામાંથી શ્રી મુનવરની માનવસેવા-જીવદયા અને પર્યાવરણની પ્રવૃત્તિઓ તથા ગુમ થયેલા લોકોને શોધી આપી તેમના ઘર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ, અન્નનો બગાડ અટકાવવાની કામગીરીને લક્ષમાં રાખીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે સમારોહનું અતિથિવિશેષપદ દેવાંગભાઇ પટેલ, સમીરભાઇ શાહ, મનુભાઇ વ્યાસ, ડો. ચન્દ્રકાન્ત મહેતા, સી.કે. પટેલ, ડો. શૈલેષભાઇ ઠાકર, સૂરદભાઇ પટેલ, જે.પી. પાંડે તથા બાબુભાઇ મેઘજી શાહે શોભાવ્યું હતું.
પ્રારંભે સ્વાગત પ્રવચન સી.કે. પટેલ કર્યું હતું. મહામહીમ ગવર્નરશ્રીનું સન્માન મંચસ્થ મહાનુભાવોએ કર્યું હતું. ગુજરાત રાજ્યનાં વિવિધ જીલ્લાઓના ૩૦ એવોર્ડીઓનું રાજ્યપાલશ્રીનાં વરદ્ હસ્તે સન્માન કરી “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ,, અર્પણ કરવામાં આવેલ. ડો. ચન્દ્રકાન્ત મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, માનવસેવાની ભાવના માનવતાને ઉજાળે છે. જેમણે માનવતાની મહાપૂજા કરી છે. તેમનાં નામ ભગવાનનાં ચોપડે લખાઇ ચૂકયા છે.
આ પ્રસંગે જાણીતા ક્રિકેટર પાર્થીવ પટેલ, ટીવી કલાકાર કિંજલ રાજપરીયા, ધ્વનીત ઠાકર, સિદ્ધાર્થ રાંદેરીયા ઉર્ફે ગુજ્જુભાઇને પણ રાજ્યપાલશ્રીના હસ્તે ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ અર્પણ કરવામાં આવેલ.
રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજીએ સમારોહ અધ્યક્ષસ્થાનેથી ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની લોક સેવાની ભાવના ગુજરાતની વિશિષ્ટતા છે. લોકો સરકાર કામ કરશે તેવું નથી કહેતા પણ પોતાના પૈસા ખર્ચી સારું કામ કરે છે. સંસ્કૃતિમાં માનવસેવાની પરંપરા રહી છે. આ પરમાર્થીઓનું સન્માન છે. પરમાર્થ ભાવનાઓ ઉપર રહી કાર્ય કરી રહ્યા છે. ગુજરાતનું ગૌરવ આ બંધુઓનાં કારણે છે. સંસ્થાઓ સમાજ કાર્યોને આગળ ધપાવી રહી છે.
સેવાભાવીઓની અંતરની ભાવનાઓને બિરદાવી દરેક એવોર્ડીઓને અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ફાલ્ગુબેન શાહે કર્યું હતું. જયારે આભાર દર્શન જે.પી. પાંડેએ કરેલ.