રાજસ્થાનનાં પાલી વિસ્તારનો યુવાન અરવિંદ ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ સતત ત્રણ વર્ષ સુધી તેની શોધખોળ ચલાવી હતી. તેનાં કોઇ ખબર નમળતાં પરિવારજનો મુશ્કેલી વેઠી રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં જીવન જ્યોત આશ્રમે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક અને ટ્રસ્ટનાં સેવાભાવીઓએ તેની ખૂબ જ સરભરા કરી સારી સારવાર
કરાવી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલરા કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવી રાજસ્થાન પોલીસની મદદ લઇ તેનું ગામ પરિવાર શોધી કાઢ્યા હતા.
સમાચાર પ્રાપ્ત થતાં જ તેની માતા, ભાઇ ભુજ આવી પહોંચ્યા હતા. માતા-પુત્રનું 3 વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોએ અનહદ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારી 3 વર્ષની મુશ્કેલીનો અંત આવ્યો છે. પુત્ર હેમખેમ મળી આવતાં માતા અને તેનાં ભાઇએ સૂરત-ભુજની સંસ્થાઓનો આભાર માન્યો હતો. આજે તે 43 વર્ષનો થઇ પોતાનાં પરિવાર સુધી પહોંચ્યો છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી સહભાગી બન્યા હતા.