ઝારખંડનો પ્રેમકુમાર ૩ વર્ષ પછી ઘરે પહોંચ્યો

ઝારખંડનાં ઝામા વિસ્તારનો પ્રેમકુમાર ઉર્ફે સંજુ હરદાર ઉ.વ. ૨૫ ત્રણ વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. રખડતો-ભટકતો ભારત ભ્રમણ કરી તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. ભુજથી પગે ચાલી ખાવડા માર્ગે માનવજ્યોત સંસ્થાનાં વાલજીભાઈ કોલીને મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો.

તેની પાસે મળેલી માહિતીનાં આધારે આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઝારખંડ પોલીસની મદદથી તેનો પરિવાર શોધી કાઢ્યો. તેનાં પિતા મૃત્યુ પામ્યા હોઇ તેનાં જીજાજી તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. આખરે તે ૩ વર્ષ પછી પોતાનાં ઘરે પહોંચતાં પરિવારજનો સાથે ફેરમિલન થયું હતું.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, નરશીં પટેલ, વાલજી કોલી, વેસુભા સોઢા સહયોગી બન્યા હતા.