ભુજ નજીક પાલારા-કચ્છ મધ્યે આકાર લઇ રહ્યું છે“શ્રી એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો,,

આજનાં ઝડપી યુગમાં પરિવાર કયાંક ખોવાઈ ગયો છે. પરિવારની આવક લાખો-કરોડોની હોવા છતાં ઘરમાં શાંતિ નથી. પારિવારિક આંતરિક ઝઘડા કલેશ-કપટથી આજનો માનવી-હેરાન પરેશાન છે. ખૂબ જ મોટા બંગલા-ફલેટ- વૈભવશાળી
કાર તથા દરેક જાતનું સુખ હોવા છતાં માનવી ટેન્શનમાં જીવે છે. કોણ કોને સમજાવે ?

માનવજ્યોત ભુજમાં દર અઠવાડિયે એક વૃદ્ધ એવો કપલ આવે કે આવીને અમને કહે અમને અહીં મારી નાખજો… મરવાની સલાહ આપજો પણ ઘરે પાછા જવાનું નાકહેતા. અમે ઘરેથી ત્રસ્ત થઈ કંટાળી તમારી પાસે આવ્યા છીએ. અમને આશ્રયની જરૂરત છે. આવી વાત વૃદ્ધ વડીલોનાં મુખે સાંભળતાં જ દિલ કંપી ઉઠે. અમારી મિલ્કત-મકાન-બધું ગયું. હવે અમે રોડ ઉપર આવી ગયા છીએ. અમારો હાથ ઝાલો… આવા ઉદ્ગાર જયારે વડીલોનાં મુખે સાંભળવા મળે ત્યારે એમનાં માટે કાંઈક કરી છુટવાની ભાવના મનમાં જાગે. એમનાં ઘર સુધી પહોંચી જઈ દીકરા, માતા પુત્ર, સાસુ-વહુ, જેઠાણી-દેરાણીનાં પારિવારિક ઝઘડા પતાવવા ખૂબ જ મહેનત કરી. કયાંક સફળતા પણ મળી. પણ એ સમજાવટ લાંબી ચાલી નહીં. કરી એનું એજ.

કંટાળાયેલા અને ૭૦ ની વય વટાવી ચૂકેલા કેટલાક વડીલ-માતા-પિતા આશ્રય સ્થાન શોધે છે. કે… કયાંક જિંદગીનાં છેલ્લા દિવસો સુખ-ચેનથી શાંતિથી જીવી શકીએ. ક્યાંક પિતા-પુત્ર વચ્ચે હાથપાઈપણ જોવા મળી. આમ વૃદ્ધ વડીલોને દુઃખ સહન કરતા પણ જોવા મળ્યા.

આવા વૃદ્ધ વડીલો માટે કાંઈક કરી છૂટવાની મનમાં ભાવનાં જાગી. ઘરથી તડછોડાયેલા આવા વૃદ્ધ વડીલોને તાત્કાલિક કયાંક આશરો મળી જાય તો એનાં મગજમાં ખોટા વિચારો ન આવે. આવા વૃદ્ધ વડીલો ખોટું પગલું ન ભરે. એમને રડતા જોઈ એમનાં મુખે વાતો સાંભળી બેચેની અનુભવી. કે જેમણે જન્મ આપ્યો… મોટા કર્યા… પાળ્યા-પોષ્યા એમની જિંદગીનાં અંતિમ દિવસો દુઃખ દર્દ ભર્યા કયારે પણ નહોવા જોઇએ. જેમણે બાળકમાંથી ઉછેરી આપણને મોટા કર્યા. પગભર કર્યા એમનાં માટે બધું કરી છૂટવું જોઇએ.

ભુજ નજીક માનવજ્યોત દ્વારા માનસિક દિવ્યાંગો માટેનું શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ શરૂ કરવામાં આવ્યું. ૭ વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી થઈ. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા 1811 આવા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ ગામ-શહેર-પરિવાર શોધી આપ્યા. પાંચ-દશ-પંદર-વીસ-પચ્ચીસ વર્ષ પછી તેઓ ઘરે પહોંચ્યા. પરિવારજનો સાથે ફેરમિલન થતાં પરિવારમાં ખુશી છવાઈ.

વૃદ્ધ વડીલોને કોઈપણ જાતની તકલીફ ન પડે એ માટે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ નજીક પાલારા-કચ્છ મધ્યે “એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો,, શરૂ થશે. જેનું બાંધકામ ચાલુ છે. ટુંક સમયમાં બાંધકામ પુરૂં થઈ જશે. અને
વડીલોનો વિસામો ખુલ્લું મુકવામાં આવશે. ઘરથી તરછોડાયેલા વડીલોને તાત્કાલિક આશ્રય અપાશે. એમનાં પુત્ર-વહુ કે પરિવારજનો સાથે સમાધાન કરાવી અપાશે. જયાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી આશ્રમ સ્થળે તેઓની દરેક વ્યવસ્થાઓ
સંસ્થા દ્વારા કરવામાં આવશે.

પરિવાર સાથે સમાધાન થતાં જ પુત્ર-વહુ વડીલોને આશ્રમ સ્થળેથી લઈ જઈ શકશે. પણ મુશ્કેલી-તકલીફમાં વૃદ્ધ વડીલો આશ્રમ સ્થળે રહેશે. પરિવારમાં સુખ-શાંતિની લહેર જોવા મળતાં જ મા-બાપ પાછા પરિવારમાં સેટ થઈ જશે. પણ એમને દુ:ખી થવા નહીં દેવાય.

રહેવા-જમવા તથા સારવાર સાથે વૃદ્ધ વડીલોની અનેક પ્રકારે સેવાઓ કરવામાં આવશે. નાના બાળકની જેમ વૃદ્ધ વડીલોને પણ સાચવવામાં આવશે. એમની એમનાં પરિવાર સાથેની મુશ્કેલીઓ ઝઘડા દૂર કરવા સંસ્થા પૂરા પ્રયત્નો કરશે. જ્યાં જરૂર પડશે ત્યાં સંસ્થા પોલીસ અને કાયદાની પણ મદદ લેશે. વડીલોને પણ અહીં સુખી કરવાની ભાવના છે. વૃદ્ધ વડીલો માટે પાલારા-કચ્છ મધ્યે શ્રી “એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો,, આકાર પામી રહ્યું છે. જેનું બાંધકામ અંતિમ તબકામાં છે.

માનવજ્યોતના પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ સંકુલના મુખ્ય દાતાશ્રી પ્રવેશ દ્વાર ઉપર કાયમી નામ “શ્રી એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો,, રહેશે. મુખ્યબેંકવેટ હોલનાં દાતાશ્રી શ્રી લીલાવંતીબેન લક્ષ્મીદાસ ભક્તા મુંબઇ પરિવાર છે.

બેંકવેટ વિશાળ હોલ, ભોજન ખંડ, રસોડું, ઓફિસ, મેડીકલ રૂમ, સંતકુટિર-ઉપાશ્રય, લાયબ્રેરીનું બાંધકામ પૂરૂ થઇ
ચૂકયું છે.

20 રૂમો તથા બે પાણીની પરબોનું બાંધકામ ચાલુ છે. વૃદ્ધવડીલો માટે ગાર્ડન, ગરમપાણી માટે સોલાર વોટર હીટર, ઇન્વેટર, જનરેટર, બાગ-બગીચામાં ઝુલા-હીચકા સાથેનાં સાધનો, પુસ્તકાલય, બેટરીવાળા વાહન, ફાયર સેફટી, સી.સી. ટી.વી. કેમેરા, વ્હીલચેરો સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વૃક્ષારોપણ ટ્રીગાર્ડ તથા પક્ષીઓ માટે ચબૂતરાનું પણ આયોજન છે. દરેક રૂમોમાં બે વૃદ્ધો વડીલોને આશ્રય અપાશે. રૂમમાં બે પલંગ, બે ખુરશી, ટીપોઇ, બે કબાટની વ્યવસ્થાઓ હશે. પ્રારંભે 40 જેટલા એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ-વડીલોનું વડીલોનો વિસામો આશ્રય સ્થાન બનશે.

ભૂમિદાતા શ્રીમતિ અરૂણાબેન વાસુદેવભાઇ રામદાસ ઠક્કર ભુજ પરિવાર છે. બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ઝીંકડીનાં
કાનાભાઇ દેવરાજ ગાગલે (આહીર) આ સેવા કાર્ય માટે પોણો એકર જમીન માનવજ્યોતને દાન આપી માનવતાનાં દર્શન
કરાવ્યા.