ઓરિસાનો ગુમ યુવાન ૮ વર્ષ ઘરે પહોંચ્યો પરિવારમાં ખુશી છવાઇ

ઓરિસા રાજ્યનાં ઢેકનાલ જિલ્લાનાં સુરપ્રતાપુર ગામનો યુવાન વિષ્ણુ મહેતી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. દેશનાં જુદા-જુદા રાજ્યોમાંથી થઇ તે રેલ્વે મારફતે ભુજ આવી ચડ્યો હતો.  વાલજીભાઇ કોલીને ભુજ-ખાવડા રોડ ઉપરથી મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચાડ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ તેની રહેવા-જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી તે સ્વસ્થ બન્યો હતો. તેની પાસેથી મળેલી માહિતીનાં આધારે સંસ્થાનાં સોશ્યલ વર્કર રિતુબેન વર્માએ ઓરિસા પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું હતું.

તેના પરિવારજનો તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. આઠ વર્ષ બાદ પરિવારજનો સાથે મિલન થતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોએ સંસ્થાનો આભાર માન્યો હતો. માનવતાનાં આ કાર્યમાં રમેશભાઇ માહેશ્વરી, કિશોરભાઇ કેનીયા, વિનોદ મારાજ, બાબુલાલ જેપાલ, વિકાસ મેર સહભાગી બન્યા હતા.