માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અત્યાર સુધીમાં ગુમ થયેલા ૧૬૨૮ લોકોને શોધી આપી ઘર સુધી પહોંચતા કરાયા છે. જેમાં ૯૩૩ રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગો, ૩૪૧ ઘરેથી રિસાઇને આવેલી મહિલાઓ યુવતીઓ, ૧૯૩ ગુમ થયેલા બાળકો તથા ૧૬૧ વૃદ્ધ વડીલોને શોધી સંસ્થાએ તેમને ઘર સુધી પહોંચાડી પરિવારજનો સાથે ફેર મિલન કરાવ્યું છે.
કેટલાક માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પાંચ, દસ, પંદર, વીસ, પચ્ચીસ, પાંત્રીસ વર્ષો પછી ઘર સુધી પહોંચતા પરિવારજનોમાં ખુશી છવાઇ હતી. ગુમ થયેલી વ્યક્તિઓનાં ફોટા અને વિગત પરિવારજનો માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડે છે. કચ્છ ભરમાંથી ક્યાં પણ કોઇ વ્યક્તિ મળી આવતાં લોકો માનવજ્યોતને જાણ કરે છે. જેનાં કારણે સંસ્થા ગુમ થયેલા લોકોને શોધીને ઘર સુધી પહોંચાડી શકે છે.
માનવજ્યોત સંસ્થાએ ૩૬૫ દિવ્યાંગોને ટ્રાયસિકલો, ૩૪૧ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કર્યા છે. ૫૨૧ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરી છે. ૩૯૮ અસ્થિભંગ લોકોને નિઃશુલ્ક ફિક્સ વોકર આપી માર્ગો ઉપર ફરતા કર્યા છે.
સંસ્થાનં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, રફીક બાવા, શંભુભાઇ જાષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, આનંદ રાયસોની, દિપેશ શાહ તથા સર્વે કાર્યકરોની ટીમ માનવતાનાં આવા કાર્યમાં સહકાર આપતા રહ્યા છે.